Home Agriculture Agriculture Farmers Pm Kisan Gujarat News Local News Latest News Of Gujarat Offbeat Stories Farming

ખેડૂતો માટે મહત્ત્વના સમાચાર : એગ્રીસ્ટેક - ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ પર તકનીકી ખામી દૂર થતા ખેડૂતોની નોંધણી પુનઃ શરુ કરાઈ

ખેડૂતો માટે મહત્ત્વના સમાચાર
Published by: OBS Bureau
Last Updated: Nov 30, 2024, 09:00 AM IST

પી. એમ. કિસાન યોજના હેઠળ ડિસેમ્બર માસનો હપ્તો મેળવવા માટે ફાર્મર રજીસ્ટ્રી અનિવાર્ય છે. અત્યાર સુધીમાં ૧૧.૫૭ લાખથી વધુ ખેડૂતોની નોંધણી સાથે ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ છે. ખેડૂતો સેલ્ફ રજીસ્ટ્રેશન તેમજ ઈ-ગ્રામ કેન્દ્ર ખાતેથી વિનામૂલ્યે ફાર્મર રજીસ્ટ્રી કરાવી શકશે. ખેડૂતોને ખોટી એપ્લીકેશન, લીંક કે માહિતી સંદર્ભે કાળજી રાખવા ખેતી નિયામકની અપીલ.


ખેડૂતો માટેની એક મહત્વપૂર્ણ પહેલના ભાગરૂપે ગુજરાતમાં એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ખેડૂત ખાતેદારના લેંડ રેકર્ડને યુનિક આઈ.ડી સાથે લીંક કરવા માટે ગત તા. ૧૫ ઓક્ટોબરથી ફાર્મર રજીસ્ટ્રી શરૂ કરવામાં આવી હતી. એગ્રીસ્ટેક - ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ પર તકનીકી ખામી સર્જાતા થોડા સમય માટે પોર્ટલ પર નોંધણી બંધ હતી, જે ખામી દૂર થતા હવે નોંધણી પ્રક્રિયા પુનઃ કાર્યરત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં ગુજરાતના ૧૧.૫૭ લાખથી વધુ ખેડૂતોએ ફાર્મર રજીસ્ટ્રી પૂર્ણ કરી છે. પરિણામે ગુજરાત સમગ્ર દેશમાં ફાર્મર રજીસ્ટ્રીમાં પ્રથમ ક્રમે છે.


ભારત સરકારની સૂચના અનુસાર એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના તમામ ખેડૂતોની ફાર્મર રજીસ્ટ્રી તા. ૨૫-૦૩-૨૦૨૫ સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન કરાયું છે. જ્યારે, પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના લાભાર્થી ખેડૂતોને આગામી ડિસેમ્બર માસનો હપ્તો મેળવવા માટે તા. ૩૦ નવેમ્બર સુધીમાં ફાર્મર રજીસ્ટ્રી ફરજીયાત પણે કરાવવા માટે જણાવવામાં આવ્યું હતું. જે ખેડૂતોએ તા. ૩૦ નવેમ્બર સુધીમાં ફાર્મર રજીસ્ટ્રી કરાવી હશે તેવા ખેડૂતોને પી.એમ. કિસાન યોજના હેઠળ ડિસેમ્બર માસનો હપ્તો મળશે. અન્ય ખેડૂતોને ફાર્મર રજીસ્ટ્રી પૂર્ણ કર્યા બાદ પી.એમ કિસાન યોજનાના લાભો મળવાપાત્ર થશે.


ખેડૂતો ઈ-ગ્રામ કેન્દ્ર ખાતે કોઇપણ પ્રકારના ચાર્જ ચૂકવ્યા વગર વિનામૂલ્યે ફાર્મર રજીસ્ટ્રી કરાવી શકે છે. ફાર્મર રજીસ્ટ્રી માટે ખેડૂતોએ ભળતી અથવા ખોટી એપ્લીકેશન કે લિન્ક ન ખોલતા આપના ગામના તલાટી/ ગ્રામ સેવકશ્રીનો સંપર્ક કરી નક્કી કરેલ ઓપરેટર મારફત જ નોંધણી કરાવવી હિતાવહ છે. આ ઉપરાંત ખેડૂતો અધિકૃત એપ્લીકેશનના માધ્યમથી સેલ્ફ રજીસ્ટ્રેશન પણ કરી શકે છે. સેલ્ફ રજીસ્ટ્રેશન માટે સોશિયલ મીડિયામાં જો કોઈ ખોટી માહિતી મળે તો તેવી બાબતોથી પ્રેરાવું નહિ, તે બાબતની ખાસ કાળજી રાખવી, તેમ ખેતી નિયામકની યાદીમાં જણાવાયું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now