શનિવારે રાત્રે નવી દિલ્લી રેલવે સ્ટેશન પર એક દુઃખદ ઘટના ઘટી. પ્રયાગરાજ જવા માટે રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ 14 અને 15 પર ભક્તોની ભારે ભીડ એકઠી થઈ હતી. ત્યારબાદ થયેલી ઝપાઝપીમાં 15 લોકોના મોત નિપજ્યા. આ ઘટના બાદ રેલવેએ પ્રયાગરાજ માટે 4 વિશેષ ટ્રેનો ચલાવવાની જાહેરાત કરી છે. હવે સવાલ એ છે કે રેલવે ક્યારે વિશેષ ટ્રેનો ચલાવે છે અને આ અંગેનો નિયમ શું છે.
શું છે મામલો?
આપને જણાવી દઈએ કે શનિવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ રેલવે સ્ટેશન પર મહાકુંભમાં સ્નાન કરવા જનારા ભક્તોની સંખ્યા અચાનક વધી ગઈ હતી. આ પછી, મુસાફરોમાં ભાગદોડ થઈ હતી અને ઘણા મુસાફરો જમીન પર પડી ગયા હતા જ્યારે કેટલાક લોકો પોતાનો જીવ બચાવીને ભાગી ગયા હતા. આ ઘટના પછી તરત જ રેલવે સુરક્ષા દળના જવાનો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ઘાયલોને લોક નાયક જય પ્રકાશ હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં ડોક્ટરોએ 3 બાળકો સહિત 15 લોકોને મૃત અને 10 અન્યને ગંભીર રીતે ઘાયલ જાહેર કર્યા હતા. તેમની સારવાર ચાલી રહી છે.
4 વિશેષ ટ્રેનોની જાહેરાત
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે નવી દિલ્લી રેલવે સ્ટેશન પર સ્થિતિ નિયંત્રણમાં છે. મુસાફરો માટે ચાર વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી છે. વધુ વિશેષ ટ્રેનોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. હવે સવાલ એ છે કે રેલવે ક્યારે વિશેષ ટ્રેનો ચલાવે છે અને આ અંગેના નિયમો શું છે.
શું છે વિશેષ ટ્રેનોના નિયમો?
રેલવે ટ્રેનોના સંચાલન અંગે સ્વતંત્ર છે. રેલવે કોઈપણ સમયે પરિસ્થિતિ અનુસાર નવી ટ્રેનોની જાહેરાત કરી શકે છે અને ટ્રેનો રદ કરી શકે છે. ખાસ કરીને તહેવારો સહિત કોઈપણ મોટા ધાર્મિક કાર્યક્રમોમાં મુસાફરોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને રેલવે દ્વારા વિશેષ ટ્રેનોની જાહેરાત કરવામાં આવે છે. રેલવેએ મહાકુંભ માટે પ્રયાગરાજ રેલવે સ્ટેશન સુધી 76થી વધુ મહાકુંભ મેળાની વિશેષ ટ્રેનો ચલાવી છે. તેમાંથી 43 વિશેષ ટ્રેનો પ્રયાગરાજ જંક્શનથી, છ છિવાકી રેલવે સ્ટેશનથી, ચાર નૈનીથી, ત્રણ સુબેદારગંજથી, ચાર પ્રયાગથી, એક ફાફામાઉથી, ચાર રામબાગથી અને 11 ઝુસી રેલવે સ્ટેશનથી ચલાવવામાં આવી છે.





