ઈઝરાયેલે ફરીથી ગાઝા પર મોટો હવાઈ હુમલો કર્યો છે. મંગળવારે સવારે ઈઝરાયેલી હવાઈ હુમલાથી સમગ્ર ગાઝા પટ્ટી હચમચી ગઈ હતી. આ હુમલો 15 મહિનામાં ઈઝરાયેલનો સૌથી ઘાતક હુમલો હતો. આ હુમલા સાથે, ગાઝામાં 57 દિવસની શાંતિ પછી ફરીથી લોહિયાળ જંગ શરૂ થઈ.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગાઝાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે તાજેતરના ઇઝરાયેલી હુમલામાં હમાસના મંત્રી અને બ્રિગેડિયર સહિત 250 પેલેસ્ટાઇનીઓ માર્યા ગયા હતા. ઈઝરાયેલના આ ભીષણ હુમલાથી ઈઝરાયેલ અને ગાઝા વચ્ચેનો યુદ્ધવિરામ કરાર તૂટી ગયો છે.
ગાઝામાં આંતરિક અને રાષ્ટ્રીય સુરક્ષા મંત્રાલયમાં સંગઠન અને વહિવટી સત્તાના વડા બ્રિગેડિયર બહજાત હસન અબુ સુલતાન અને હમાસના એક વરિષ્ઠ અધિકારી અને નાયબ આંતરિક મંત્રી જનરલ મહમૂદ અબુ વત્તાફા ઇઝરાયેલી હવાઈ હુમલામાં માર્યા ગયા હતા, એમ અહેવાલમાં જણાવાયું છે.
યુદ્ધવિરામના બીજા તબક્કાની કોઈ વાત થઈ ન હતી
યુદ્ધવિરામ સમજૂતીના પ્રથમ તબક્કાના 42 દિવસ પછી, ઇઝરાયેલે બીજા તબક્કાની શરતોને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ ફરી વાતચીત શરૂ થઈ હતી. ઈઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂની કચેરીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઈઝરાયેલે હમાસના ઇઝરાયેલી બંધકોને મુક્ત કરવાના વારંવારના ઇનકાર અને શાંતિ મંત્રણાની નિષ્ફળતા પછી આ નિર્ણય લીધો છે.
"ઇઝરાયેલ હવેથી તેની લશ્કરી શક્તિને વધુ વધારીને હમાસ સામે તેના આક્રમણને વધુ તીવ્ર બનાવશે", એમ નિવેદનમાં ઉમેરવામાં આવ્યું હતું. ગાઝા પટ્ટીમાં આ ઇઝરાયેલી ઓપરેશન માટેની યોજના આઇ. ડી. એફ. દ્વારા ગયા અઠવાડિયાના અંતમાં રજૂ કરવામાં આવી હતી, જેને ઇઝરાયલના રાજકીય નેતૃત્વ તરફથી પણ મંજૂરી મળી હતી, એમ એસોસિએટેડ પ્રેસે અહેવાલ આપ્યો હતો.





