અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા સરહદી તણાવ વચ્ચે કતારના દોહામાં યોજાયેલી બેઠકમાં બંને દેશો વચ્ચે તાત્કાલિક યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ આ દરમિયાન તાલિબાનના નાયબ ગૃહમંત્રી મૌલવી મુહમ્મદ નબી ઓમારીએ પાકિસ્તાનને કડક ચેતવણી આપી છે.
CNN-News18 અનુસાર, ઓમારીએ જણાવ્યું કે જો અફઘાનિસ્તાન પાકિસ્તાની સેનાને "આક્રમણખોર" જાહેર કરશે, તો તેમને અફઘાન દળો "ભારતીય સરહદ સુધી પાછા ધકેલી દેશે."
“જો અમને આક્રમણખોર જાહેર કરવું પડશે, તો ભારતીય સરહદ પર પણ સુરક્ષા નહીં મળે” ઓમારી
મૌલવી મુહમ્મદ નબી ઓમારીએ કડક સ્વરમાં કહ્યું, “જો અફઘાન જાતિઓ અને રાષ્ટ્રો એકવાર ધાર્મિક હુકમથી તમને આક્રમણખોર જાહેર કરશે, તો હું અલ્લાહની કસમ ખાઉં છું, તમને ભારતીય સરહદ પર પણ સુરક્ષા મળશે નહીં.”
તેમણે વધુમાં પાકિસ્તાની લશ્કર અને ઇસ્લામાબાદના નાગરિક નેતૃત્વ પર આક્ષેપ કરતાં કહ્યું કે પાકિસ્તાન “બીજાઓની ઇચ્છા મુજબ કાર્ય કરે છે.”
ઓમારીએ જણાવ્યું, “તમે તાજેતરમાં શાહબાઝ શરીફનો ટ્રમ્પ સાથે ખુશામતભર્યા સ્વરમાં વાત કરતો વીડિયો જોયો હશે.”
ડ્યુરન્ડ લાઇનની પેલે પારના વિસ્તારો પર દાવો
તાલિબાન નેતાએ સંભવિત પ્રાદેશિક દાવાઓની સંકેત આપતાં કહ્યું કે વર્તમાન પરિસ્થિતિ સૂચવે છે કે ડ્યુરન્ડ લાઇનની પેલે પારના વિસ્તારો, જે એક સમયે અફઘાનિસ્તાનથી અલગ થયા હતા, તે ભવિષ્યમાં ફરી અફઘાન પ્રદેશનો ભાગ બની શકે છે.
અફઘાનિસ્તાનનો આરોપ – “પાકિસ્તાને યુદ્ધવિરામનો ભંગ કર્યો”
આ ચેતવણી એવા સમયે આવી છે જ્યારે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની સરહદ પર સતત અથડામણો થઈ રહી છે. કાબુલે ઇસ્લામાબાદ પર 48 કલાકના યુદ્ધવિરામનો ભંગ કરવાનો આરોપ લગાવ્યો છે. આ અથડામણો એક અઠવાડિયા સુધી ચાલ્યાં હતાં જેમાં બંને બાજુના ડઝનબંધ સૈનિકો અને નાગરિકોના મોત થયા હતા.
દોહા બેઠકમાં કરાર, હવે ઇસ્તંબુલમાં અનુગામી ચર્ચા
કતારના વિદેશ મંત્રાલયે દોહામાં બંને દેશોના પ્રતિનિધિઓ વચ્ચે બેઠક બોલાવી હતી, જેમાં તાત્કાલિક યુદ્ધવિરામ પર સંમતિ થઈ છે. કતારના પ્રતિનિધિ મુજબ, આગામી અનુગામી બેઠક ઇસ્તંબુલમાં યોજાશે, જ્યાં શાંતિસ્થાપન માટેની વિગતવાર ચર્ચા થશે.






