ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને તેમની કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસ માટે અમેરિકામાં ચાલી રહેલા કાનૂની વિવાદો અંગે મોટા સમાચાર આવ્યા છે. અમેરિકી ટ્રેઝરી વિભાગે જણાવ્યું છે કે અદાણી એન્ટરપ્રાઇઝિસે ઇરાન પર લાગેલા અમેરિકન પ્રતિબંધોના કથિત ઉલ્લંઘન મામલે $275 મિલિયન ચૂકવી સમાધાન કરવા સંમતિ આપી છે. સાથે જ ગૌતમ અદાણી સામે ચાલી રહેલા અન્ય અમેરિકન કેસોમાં પણ રાહત મળવાની શક્યતા વધી રહી છે.
શું છે સમગ્ર મામલો?
અમેરિકી સરકારના જણાવ્યા અનુસાર, અદાણી એન્ટરપ્રાઇઝિસે દુબઈ આધારિત એક ટ્રેડર પાસેથી લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (LPG)ના શિપમેન્ટ ખરીદ્યા હતા. આ ટ્રેડરે ગેસ ઓમાન અને ઇરાકમાંથી આવતો હોવાનું દર્શાવ્યું હતું, પરંતુ અમેરિકન તપાસ મુજબ આ ગેસ વાસ્તવમાં ઇરાનમાંથી આવ્યો હતો. અમેરિકા લાંબા સમયથી ઇરાન પર આર્થિક પ્રતિબંધો લગાવી ચૂક્યું છે. આવા સમયમાં ઇરાન મૂળના ઊર્જા ઉત્પાદનો સાથે વ્યવહાર કરવો અમેરિકન કાયદા હેઠળ ગંભીર મામલો ગણાય છે. અમેરિકી ટ્રેઝરી વિભાગે આ કેસમાં અદાણી એન્ટરપ્રાઇઝિસ સામે કાર્યવાહી શરૂ કરી હતી. હવે કંપનીએ $275 મિલિયન ચૂકવી મામલો સેટલ કરવા સંમતિ આપી હોવાનું અમેરિકી સત્તાવાળાઓએ જાહેર કર્યું છે.
ગૌતમ અદાણી સામેના અન્ય કેસોમાં પણ રાહત?
આ મામલા સાથે જ અમેરિકન સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (SEC)એ પણ ગૌતમ અદાણી સામેનો એક સિવિલ કેસ સેટલ કર્યો હોવાનું કોર્ટ રેકોર્ડમાં સામે આવ્યું છે. જોકે આ સેટલમેન્ટને કોર્ટની અંતિમ મંજૂરી મળવાની બાકી છે. આ સિવાય અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા ગૌતમ અદાણી સામેના સંબંધિત ફ્રોડ અને ક્રિમિનલ આરોપો પાછા ખેંચવાની તૈયારી ચાલી રહી હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
રિપોર્ટ મુજબ, આ કાર્યવાહી ખૂબ જ ટૂંક સમયમાં પૂર્ણ થઈ શકે છે. એક સૂત્રના જણાવ્યા પ્રમાણે, અમેરિકી સરકાર આ કેસોમાં સત્તાવાર રીતે કાર્યવાહી સમાપ્ત કરવાની જાહેરાત પણ કરી શકે છે.
લાંચ અને સોલાર પ્રોજેક્ટનો આરોપ શું હતો?
અમેરિકન પ્રોસિક્યુટર્સે ગૌતમ અદાણી સામે આરોપ મૂક્યો હતો કે તેમણે ભારતના સરકારી અધિકારીઓને અંદાજે $265 મિલિયનની લાંચ આપવાની યોજના બનાવી હતી.
આ આરોપો અનુસાર, આ લાંચનો હેતુ ભારતના સૌથી મોટા સોલાર પાવર પ્રોજેક્ટ માટે મંજૂરી મેળવવાનો હતો. અમેરિકી તપાસ એજન્સીઓએ દાવો કર્યો હતો કે આ કથિત ભ્રષ્ટાચારની માહિતી છુપાવીને અદાણી ગ્રુપે લોન અને બોન્ડ મારફતે $3 બિલિયનથી વધુનું ભંડોળ એકત્ર કર્યું હતું. પરંતુ અદાણી ગ્રુપ સતત તમામ આરોપોને નકારી રહ્યું છે. કંપનીનું કહેવું છે કે તે તમામ વ્યવહારો કાયદાકીય રીતે અને પારદર્શક રીતે કરવામાં આવ્યા હતા.
અમેરિકામાં રોકાણના વચન સાથે કેસોમાં નરમાઈ?
આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે એક મહત્વપૂર્ણ મુદ્દો એ પણ સામે આવ્યો છે કે ગૌતમ અદાણીએ અમેરિકન અર્થતંત્રમાં $10 બિલિયનનું રોકાણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.
વિશ્લેષકોનું માનવું છે કે અમેરિકા અને ભારત વચ્ચે વધતા આર્થિક અને વ્યૂહાત્મક સંબંધોના સમયમાં આ મુદ્દો પણ મહત્વનો બની શકે છે. જોકે અમેરિકન સત્તાવાળાઓએ સત્તાવાર રીતે આ રોકાણ અને કેસોની કાર્યવાહી વચ્ચે સીધો સંબંધ હોવાની કોઈ પુષ્ટિ કરી નથી.






