Padaliya Police Attack Case : પાડલીયા ગામમાં પોલીસ અને ફોરેસ્ટ વિભાગની ટીમ પર થયેલા હુમલાના મામલે પરિસ્થિતિ હજુ પણ તણાવપૂર્ણ છે. આ ઘટનાને પગલે પોલીસે 27 નામજોગ સહિત કુલ 500 લોકો સામે FIR નોંધાવી છે. ઘટનાના બીજા દિવસે પોલીસનો મોટો કાફલો ગામમાં પંચનામું કરવા અને કોમ્બિંગ કામગીરી માટે પહોંચ્યો હતો, તો બીજી તરફ, ગામના સ્થાનિકોએ આ સમગ્ર ઘટનાનો દોષ વહીવટી તંત્રની કાર્યપદ્ધતિ પર મૂક્યો છે.
'પોલીસના ડરથી અનેક લોકો જંગલમાં છુપાયા છે'
સ્થાનિકોનો આક્ષેપ છે કે, 'ફોરેસ્ટ અધિકારીઓએ કોઇપણ વાત સાંભળ્યા વગર ગામના મુખિયાને માર માર્યો હતો અને લાઠીચાર્જ કર્યો હતો. આ કાર્યવાહી દરમિયાન આદિવાસી સમાજના લોકોને પણ ઈજાઓ પહોંચી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સ્થાનિકોના કહેવા મુજબ પોલીસના ડરથી અનેક લોકો જંગલમાં છુપાઈ રહ્યા છે અને તેઓ દવાખાને પણ જઈ શકતા નથી'.
'નોટિસ આપ્યા વગર JCB ફેરવી ઘરો અને કૂવો તોડી પાડ્યા'
સ્થાનિકોએ વધુમાં આરોપ લગાવ્યો છે કે, 'કોઈપણ પૂર્વ નોટિસ આપ્યા વગર JCB ફેરવી ઘરો અને કૂવો તોડી પાડવામાં આવ્યા હતા. ફોરેસ્ટ અધિકારીઓએ તેમના ઘરો, ખેતી અને પીવાના પાણીના કૂવો પર માટી નાંખીને તેને નષ્ટ કરી દીધા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ગામલોકોનું કહેવું છે કે 'વન વિભાગે કોઇ બેઠક કે ચર્ચા કર્યા વગર જ કાર્યવાહી હાથ ધરી, જેના કારણે રોષ ફાટી નીકળ્યો'.
આ માગણીના બદલે અધિકારીઓએ લાઠીચાર્જ કર્યો!
ગામના લોકો 2006ના વન અધિકાર કાયદા મુજબ જમીન માટે પોતાની સનદ, એટલે કે માલિકી હક્કના દસ્તાવેજોની માંગ કરી રહ્યા હોવાનું પણ સ્થાનિકોએ જણાવ્યું છે. તેમનો આક્ષેપ છે કે આ માગણીના બદલે અધિકારીઓ દ્વારા તેમના પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો, જેના કારણે પરિસ્થિતિ વધુ વણસી અને અંતે હિંસક સ્વરૂપ ધારણ કર્યું. હાલ સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલુ છે અને ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે





















