નવી દિલ્હી: રાજધાની દિલ્હીના જંતર-મંતર પર ચાલી રહેલા વિરોધ પ્રદર્શન દરમિયાન વધુ એક વિવાદાસ્પદ ઘટના સામે આવી છે. કોક્રોચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજીત દિપકે પર જાહેર મંચ પર એક મહિલાએ શાહી ફેંકી હુમલો કરતાં સ્થળ પર ભારે અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાના તરત બાદ મહિલાએ 'જય શ્રીરામ'ના નારા લગાવ્યા હોવાનું પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું છે. ઘટનાને પગલે અભિજીત દિપકેના સમર્થકો અને ત્યાં હાજર અન્ય લોકો વચ્ચે ભારે હોબાળો સર્જાયો હતો. બાદમાં મહિલા પોલીસના હવાલે કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાએ જંતર-મંતર પર ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને વધુ ચર્ચામાં લાવી દીધું છે. ખાસ કરીને થોડા કલાકો પહેલાં જ સામાજિક કાર્યકર સોનમ વાંગચુકને પોલીસ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા બાદ હવે અભિજીત દિપકે પર થયેલા હુમલાએ સમગ્ર મામલાને વધુ રાજકીય બનાવી દીધો છે.
મંચ પર પહોંચીને મહિલાએ ફેંકી શાહી
મળતી માહિતી મુજબ, અભિજીત દિપકે વિરોધ પ્રદર્શન દરમિયાન પોતાના સમર્થકોને સંબોધી રહ્યા હતા. તે દરમિયાન ભીડમાંથી એક મહિલા અચાનક મંચ તરફ પહોંચી અને તેમના ચહેરા તેમજ કપડાં પર શાહી ફેંકી દીધી. આ ઘટનાથી ત્યાં હાજર લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. ઘટનાના તરત બાદ મહિલાએ ધાર્મિક નારા લગાવ્યા હતા, જેના કારણે વાતાવરણ વધુ તંગ બન્યું હતું. અભિજીત દિપકેના સમર્થકોએ તરત જ મહિલાને કાબૂમાં લઈને દિલ્હી પોલીસને સોંપી દીધી હતી. પોલીસે મહિલાની પૂછપરછ શરૂ કરી છે અને સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે. અત્યાર સુધી મહિલાની ઓળખ અથવા હુમલાના ચોક્કસ કારણ અંગે સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.
આ પણ વાંચો: 20 દિવસની ભૂખ હડતાળ બાદ સોનમ વાંગચુક હોસ્પિટલમાં દાખલ : અભિજીત દીપકેએ કરી આમરણ અનશનની જાહેરાત
સોનમ વાંગચુક બાદ ફરી તંગદિલી
આ ઘટના પહેલાં જ જંતર-મંતર પર ભૂખ હડતાળ પર બેઠેલા સોનમ વાંગચુકને દિલ્હી પોલીસ દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વાંગચુક 28 જૂનથી શિક્ષણ સંબંધિત મુદ્દાઓ અને નીટ પેપર લીક કેસમાં જવાબદારી નક્કી કરવાની માંગ સાથે અનિશ્ચિત ઉપવાસ પર હતા. લાંબા સમયથી ઉપવાસને કારણે તેમની તબિયત સતત બગડી રહી હોવાનું તબીબોએ જણાવ્યું હતું. ત્યારબાદ કોર્ટના આદેશ અને તબીબી સલાહને આધારે પોલીસ તેમને સફદરજંગ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગઈ હતી. આ કાર્યવાહીનો વિરોધ કરતા પ્રદર્શનકારીઓએ સરકાર પર દબાણની રાજનીતિ કરવાનો આક્ષેપ કર્યો હતો.
ભાજપ સામે ગંભીર આક્ષેપ
અભિજીત દિપકે પર હુમલા બાદ કોક્રોચ જનતા પાર્ટીએ ભાજપ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. પાર્ટીના નેતાઓનો દાવો છે કે વિરોધ પ્રદર્શનને દબાવવા માટે હુમલાખોરોને મોકલવામાં આવ્યા હતા. જોકે, આ આરોપોને લઈને ભાજપ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આવા ગંભીર આરોપોની સત્યતા તપાસ એજન્સીઓની તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકશે. હાલ પોલીસ તમામ પાસાઓની તપાસ કરી રહી છે અને ઘટનાના વીડિયો તેમજ અન્ય પુરાવા એકત્રિત કરી રહી છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં કોરોનાએ માથું ઊંચક્યું : જુલાઈમાં 21 નવા કેસ, 3 વર્ષ બાદ ફરી વધ્યો સંક્રમણનો ખતરો





