Gujarat Local Body Election 2026: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં આજે ખેડૂત આગેવાન અને AAPના પૂર્વ નેતા રાજુ કરપડા કમલમ્ માં કેસરિયા કરીને ભાજપમાં જોડાયા. રાજુ કરપડાના ભાજપમાં જોડાતાની સાથે જ આમ આદમી પાર્ટીમાંથી તેમના પર આક્ષેપોનો દૌર શરૂ થઈ ગયો છે. આ મુદ્દે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે જણાવ્યું છેકે, મારા પરમ મિત્રએ કેસરિયો ધારણ કર્યો છે, અમે શરૂઆતમાં જ કહ્યું હતું કે જેલમાં જ ખેડૂતોના આંદોલનનો સોદો થયો હતો.
રાજુ કરપડા પર આક્ષેપ કરતા AAP નેતા પ્રવીણ રામે વધુમાં જણાવ્યું છેકે, અગાઉ રાજુ કરપડાએ અમારા પર અનેક આક્ષેપો કર્યા પરંતુ આજે એમના ભાજપમાં જોડાવાની સાથે જ એમણે કરેલા આક્ષેપો પાયાવિહોણા સાબિત થયા છે. ગુજરાતના ખેડૂતો સામે એ વાત સાબિત થશે કે AAP વિરુદ્ધ કરાયેલા આક્ષેપો ખોટા હતા. આશા છે કે તેઓ ભાજપમાં જઈને ખેડૂતો માટે લડત લડશે અને ન્યાય અપાવશે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં આજે ભાજપે મોટો દાવ ખેલ્યો છે. સેન્સની પ્રક્રિયા અને ઉમેદવારોની પસંદગીને લઈને ચાલતા મંથનની વચ્ચે આજે કમલમ્ ખાતે સૌરાષ્ટ્રના ખેડૂત આગેવાન અને AAના પૂર્વ નેતા રાજુ કરપડા પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા. ચૂંટણી ટાણે જ આમ આદમી પાર્ટીના પૂર્વ નેતાએ પક્ષપલટો કરીને કેસરિયા કર્યા છે.
આ પણ વાંચોઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં ભાવનો મોટો દાવ : AAPના ઝાડુને લાત મારી ખેડૂત નેતા રાજુ કરપડાએ પકડ્યું ભાજપનું કમળ
ઉલ્લેખનીય છેકે, આમ આદમી પાર્ટીમાં ગોપાલ ઇટાલીયા પોતાની મનમાની કરતા હોવાની વાત કહીને રાજુ કરપડાએ AAP સાથે છેડો ફાડ્યો હતો. જેમાં તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે જ્યારે હું આમ આદમી પાર્ટીમાં હતો અને ખેડૂતોની લડત માટે જેલમાં ગયો હતો ત્યારે AAPમાંથી કોઈ પણ નેતા મને મળવા શુદ્ધા પણ નહોંતા આવ્યાં. રાજુ કરપડાએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, ગોપાલ ઇટાલીયા અને AAPના મોટા નેતાઓએ મારી સાથે ષડયંત્ર કર્યું હતું. તેઓ ઇચ્છતા હતા કે રાજુ કરપડા જેલમાં જ પડી રહે.
"ખેડૂતોની કાયમી પીડાનું નિરાકરણ લાવવા ભાજપમાં જોડાયો"
રાજુ કરપડાએ જણાવ્યું કે ખેડૂતોનો સમુદ્ધ બનાવવાના સપના સાથે એક ચોક્કસ પાર્ટી સાથે જોડાયા હતા. ખેડૂતોની કાયમી પીડાનું નિરાકરણ માટે ભાજપમાં જોડાયો. આમ આજે સત્તવાર રીતે AAPના પૂર્વ નેતા રાજુ કરપડા ભાજપમાં જોડાઈ ગયા છે. સૂત્રોની માનીએ તો તેઓ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની મૂળી બેઠક પરથી ચૂંટણી લડી શકે છે.
મહત્ત્વનું છેકે, તેઓ જ્યારે આમ આદમી પાર્ટીમાં હતા ત્યારે મંચ પરથી પોતાના નિવેદનોમાં પણ એવો હુંકાર કરતા હતા કે, સૂરજ દાદા આથમણા ઉગશે ત્યારે હું ભાજપનો ખેસ પહેરીશ. આજે સુરજ દાદા તો એમની નિયમિત દિશાએથી જ ઉગ્યા છે, પરંતુ રાજકીય લાભને જોતા ખેડૂત આગેવાન અને AAPના પૂર્વ નેતા રાજુ કરપડાની દિશા બદલાઈ ગઈ છે તેવું પણ રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. એજ કારણે રાજુ કરપડા ભાજપમાં જોડાયા છે.






