AAP Isudan Gadhvi : સ્માર્ટ મીટર મુદ્દે આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી દ્વારા રાજ્ય સરકાર અને ભાજપ સામે તીખા પ્રહાર કર્યા છે. ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, ભાજપ અને ગુજરાત સરકાર સ્માર્ટ મીટરના નામે જનતા સાથે છેતરપિંડી કરી રહી છે. તેમણે આરોપ લગાવ્યો કે સ્માર્ટ મીટર એ ભાજપ અને રાજ્ય સરકારનું ષડયંત્ર છે અને સરકાર પ્રજાના હિતની નહીં પરંતુ કંપનીઓના હિતની ચિંતા કરી રહી છે.
'અમને ખબર છે કે તમે કંપનીના દલાલો છો'
ઈસુદાન ગઢવીએ કહ્યું કે, “અમને ખબર છે કે તમે કંપનીના દલાલો છો, તમને પ્રજાનું વિચાર નથી.” તેમણે ભાજપને પડકાર આપતા કહ્યું કે, પહેલા સ્માર્ટ મીટર બાબતે સત્તાવાર પરિપત્ર બહાર પાડો અને ત્યારબાદ તમામ ભાજપના નેતાઓના ઘરે અને કમલમમાં સૌપ્રથમ સ્માર્ટ મીટર લગાવો.
'આવનારી સ્થાનિક ચૂંટણીઓમાં ભાજપને હરાવવો પડશે'
તેમણે કહ્યું કે, 'સ્માર્ટ મીટર ફરજિયાત લગાવવાનો કોઈ પણ પ્રકારનો પરિપત્ર હાલ કરાયો નથી. એટલે જો કોઈ વ્યક્તિ સ્માર્ટ મીટર લગાવવા આવે તો લોકો તેનો વિરોધ કરી શકે છે. તેમણે આક્ષેપ કર્યો કે સ્માર્ટ મીટર લગાવ્યા બાદ રાજ્યભરમાં સેંકડો લોકોના વીજળીના બિલો અચાનક વધી ગયા છે, જે જનતા માટે મોટો આર્થિક બોજ બની રહ્યો છે. ઈસુદાન ગઢવીએ જનતાને સીધી અપીલ કરતા જણાવ્યું કે જો સ્માર્ટ મીટર ન લગાડવા દેવા હોય તો આવનારી સ્થાનિક ચૂંટણીઓમાં ભાજપને હરાવવો પડશે. તેમણે કહ્યું કે સ્માર્ટ મીટરથી બચવું હોય તો એક પણ વ્યક્તિએ ભાજપને વોટ આપવો નહીં.




















