Gujarat AAP CM Presentation: આમ આદમી પાર્ટી AAPનું પ્રતિનિધિમંડળ આજે રાજ્યના મુખ્યમંત્રીની મુલાકાત લેવા ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલ ખાતે પહોંચ્યું હતું. આ પ્રતિનિધિમંડળમાં AAPના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા, ચૈતર વસાવા અને મનોજ સોરઠિયા સહિતના આગેવાનો સામેલ રહ્યા હતા. મુખ્યમંત્રીએ AAPના પ્રતિનિધિમંડળને મળવાનો સમય આપ્યો હતો અને બેઠક દરમિયાન ખેડૂતોના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
'11 મુદ્દાઓ મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરવામાં...'
AAPના પ્રતિનિધિમંડળ દ્વારા ખેડૂતોને લગતા કુલ 11 મુદ્દાઓ મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે AAP દ્વારા કિસાન હેલ્પલાઇન નંબર જાહેર કર્યા બાદ રાજ્યની 400થી વધુ APMCમાંથી ખેડૂતોની ફરિયાદો આવવા લાગી હતી. કડદા પ્રથાથી લઈને અનેક મુદ્દાઓ પર AAP દ્વારા સમગ્ર ગુજરાતમાં કિસાન મહાપંચાયતો યોજવામાં આવી હોવાનું પણ તેમણે જણાવ્યું.
'ખેડૂતોનું વ્યાપક સમર્થન મળ્યું'
ઈસુદાન ગઢવીએ વધુમાં કહ્યું કે, 'પાર્ટી દ્વારા રાજ્યના 8000થી વધુ ગામડાઓમાં કિસાન ન્યાય પંચાયત યોજી ખેડૂતોના પ્રશ્નોને લઈને હસ્તાક્ષર અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ અભિયાનમાં 80,000થી વધુ ખેડૂતોએ હસ્તાક્ષર કરીને 11 મુદ્દાઓ પર પોતાનું સમર્થન જાહેર કર્યું છે. AAPની મુખ્ય માંગણીઓમાં કડદા પ્રથા નાબૂદ કરવી, હડદડ કાંડ અને સાબર ડેરી આંદોલન દરમિયાન ખેડૂતો પર કરવામાં આવેલા કેસોને પાછા ખેંચવા, તેમજ પંજાબની AAP સરકારની જેમ ખેડૂતોને પ્રતિ હેક્ટરે ₹50,000નું વળતર ચૂકવવાની માંગનો સમાવેશ થાય છે. આવી કુલ 11 માંગો પર ખેડૂતોનું વ્યાપક સમર્થન મળ્યું હોવાનું ઈસુદાન ગઢવીએ જણાવ્યું.
'આશા વ્યક્ત કરી કે સરકાર સકારાત્મક નિર્ણય લેશે'
ઈસુદાન ગઢવીએ આશા વ્યક્ત કરી કે મુખ્યમંત્રી ખેડૂતોના આ 11 મુદ્દાઓ પર સકારાત્મક નિર્ણય લેશે. સાથે જ તેમણે ચેતવણી આપતાં કહ્યું કે જો ખેડૂતોના મુદ્દાઓ પર સરકાર દ્વારા સકારાત્મક વલણ દાખવવામાં નહીં આવે, તો આમ આદમી પાર્ટી રાજ્યભરમાં જનઆંદોલન કરશે





















