સુરત શહેરના લાલ ગેટ વિસ્તારમાં અચાનક ભૂવો પડવાની ઘટનાથી વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનું વાતાવરણ સર્જાયું હતું. મહત્વની વાત એ છે કે, ભૂવો પડ્યો તે સમયે નજીકમાં મેટ્રો પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી હતી. ભૂવો લગ્ન મંડપની નજીક પડતાં મોટી જાનહાનિ ટળી હોવાનું રાહતરૂપ માનવામાં આવી રહ્યું છે.
ખુરશીઓ પણ ભૂવામાં પડી!
પ્રાપ્ત માહિતી મુજબ, ભૂવો પડતા લગ્ન મંડપનો એક ભાગ જમીનમાં સમાઈ ગયો હતો, જ્યારે મંડપમાં ગોઠવેલી અંદાજે 15થી 20 ખુરશીઓ પણ ભુવામાં ઘસી ગઈ હતી. આ ઘટના નજીક આવેલા એક બંગલાની કિચન પાછળના ભાગે બની હતી. સદનસીબે ઘટનાના સમયે ત્યાં કોઈ વ્યક્તિ ભૂવા પાસે હાજર ન હોવાથી જાનહાનિ ટળી હતી.
પાણીની લાઇન તૂટી ગઈ હોવાની શક્યતા
સ્થાનિક લોકોનું કહેવું છે કે, મેટ્રો પ્રોજેક્ટ દરમિયાન જમીન નીચેની પાણીની લાઇન તૂટી ગઈ હોવાની શક્યતા છે. સાથે જ ગ્લાસ પાઈપલાઇન અથવા પ્લેન તૂટી જવાને કારણે જમીન ધસી પડી હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં લોકોમાં ભય ફેલાયો હતો અને કેટલાક સમય માટે લોકો ઘરોમાંથી બહાર આવી ગયા હતા. ભૂવો પડતાં જ સ્થાનિક લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. લોકો દ્વારા મેટ્રો કામ દરમિયાન પૂરતી સુરક્ષા અને તકેદારી રાખવામાં આવી કે નહીં તે અંગે સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. નાગરિકોની સુરક્ષા સામે ગંભીર પ્રશ્નો ઊભા થતાં જવાબદારી કોની તે મુદ્દે ચર્ચા શરૂ થઈ છે.





















