મુશળધાર વરસાદને કારણે નાઇજીરીયાના ઘણા વિસ્તારો ભયાનક પૂરની ઝપેટમાં આવી ગયા છે. નાઇજર પ્રાંતના મોકવા શહેરમાં પૂરને કારણે ઓછામાં ઓછા 88 લોકોના મોત થયા છે. જ્યારે ઘણા લોકો ગુમ થયાના અહેવાલ છે. નેશનલ ઇમરજન્સી મેનેજમેન્ટ સ્ટેટના હુસૈની ઇસાએ જણાવ્યું હતું કે ઘણા લોકો હજુ પણ ફસાયેલા છે અને બચાવ કામગીરી ચાલુ છે. અગાઉના અહેવાલોમાં કહેવામાં આવ્યું હતું કે ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા છે. મૃત્યુઆંક ઝડપથી વધવાની ધારણા છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે હજારો લોકો અસુરક્ષિત સ્થળોએ ફસાયેલા છે, જેમને મદદ પહોંચી રહી નથી. મોટી સંખ્યામાં લોકો ગુમ થયાના પણ અહેવાલ છે. ઇસાએ જણાવ્યું હતું કે, "મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. અત્યાર સુધીમાં 88 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે." સ્થાનિક રહેવાસીઓ અને સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઘણા કલાકો સુધી મુશળધાર વરસાદને કારણે પૂર આવ્યું હતું. પાણી ભરાવાના કારણે નજીકનો એક ડેમ તૂટી ગયો હતો, જેના કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ હતી.






