પાકિસ્તાનમાં ચોમાસાના વરસાદમાં 657 લોકોનાં મોત થયા છે. આ ઉપરાંત 1000થી વધુ લોકો ઘાયલ થયા છે. જૂનના અંતથી અત્યાર સુધી પાકિસ્તાનમાં વરસાદને કારણે થયેલા મૃત્યુનો આ આંકડો છે. રવિવારે મીડિયા સાથે વાત કરતા પાકિસ્તાનના રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના પ્રવક્તા તૈયબ શાહે જણાવ્યું હતું કે હજુ પણ ભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. તેમણે કહ્યું કે હાલમાં 22 ઓગસ્ટ સુધી ભારે વરસાદ ચાલુ રહેશે. આ ઉપરાંત સપ્ટેમ્બરમાં પણ બે થી ત્રણ વખત ભારે વરસાદ જોવા મળી શકે છે.
ગયા વર્ષ કરતા 60 ટકા વધુ વરસ્યો?
શાહે કહ્યું કે, ''આ વર્ષે ચોમાસાનો વરસાદ ગયા વર્ષ કરતા 60 ટકા વધુ છે. તૈયબ શાહે કહ્યું કે ''આ વખતે ચોમાસાનો વરસાદ એટલો વધારે છે કે છેલ્લા ઘણા વર્ષોની તુલનામાં સૌથી વધુ વિનાશ થયો છે. NDMA અનુસાર અત્યાર સુધીમાં 657 લોકોનાં મોત થયા છે. તેમાં 171 બાળકો, 94 મહિલાઓ અને 392 પુરુષોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 26 જૂનથી લગભગ એક હજાર લોકો ઘાયલ થયા છે. વરસાદ સંબંધિત ઘટનાઓમાં સૌથી વધુ મૃત્યુ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં થયા છે. અહીં ઘર તૂટી પડવાથી અથવા વરસાદને કારણે થતી અન્ય ઘટનાઓમાં 394 લોકોના મોત થયા છે. આ મૃતકોમાં 59 બાળકો અને 43 મહિલાઓનો પણ સમાવેશ થાય છે.
બલુચિસ્તાનમાં 20 લોકોના મોત થયા
જો પંજાબની વાત કરીએ તો અહીં પણ 164 લોકોના મોત થયા છે. સિંધમાં પણ 28 લોકોના મોત થયા છે. બલુચિસ્તાનમાં 20 લોકોના મોત થયા છે. આ રીતે ખૈબર પખ્તુનખ્વામાં ભારે વરસાદને કારણે મૃત્યુ પામેલા અને ઘાયલ થયેલા લોકોની સંખ્યા સૌથી વધુ છે. વરસાદને કારણે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં પણ મોટી ઘટનાઓ બની છે. ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં જ 32 લોકોના મોત થયા છે. એટલું જ નહીં ખૈબર પખ્તુનખ્વાના બુનેર અને શાંગલા જિલ્લામાં પણ લગભગ 150 લોકો ગુમ છે. આ લોકોમાં મોતનો ભય છે. ફક્ત બુનેર જિલ્લામાં જ 84 લોકોના મોત થયા છે. જેમાંથી 21 લોકો એક જ પરિવારના છે, જેઓ લગ્ન સમારોહની તૈયારી કરી રહ્યા હતા અને આ દરમિયાન વાદળ ફાટવાથી તેમનું મૃત્યુ થયું.






