આજે 4 ફેબ્રુઆરીનો દિવસ વૈશ્વિક અને ભારતીય ઇતિહાસમાં અનેક સીમાચિહ્નરૂપ ઘટનાઓનો સાક્ષી રહ્યો છે. આજના દિવસે જ સમગ્ર વિશ્વમાં 'વર્લ્ડ કેન્સર ડે'ની ઉજવણી કરવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય જીવલેણ કેન્સર સામે લોકોમાં જાગૃતિ લાવવાનો છે. વર્ષ 2000માં આ અભિયાનની શરૂઆત થઈ હતી. ચિંતાજનક બાબત એ છે કે ભારતમાં કેન્સરના કેસ સતત વધી રહ્યા છે; વર્ષ 2022માં જે આંકડો 1461427 હતો, તે વર્ષ 2040 સુધીમાં 20 લાખને પાર કરી જવાની આશંકા છે. આ ઉપરાંત, આજના દિવસે સોશિયલ મીડિયા જાયન્ટ ફેસબુકની સ્થાપના વર્ષ 2004માં કરવામાં આવી હતી, જેણે દુનિયાની વાતચીત કરવાની પદ્ધતિ બદલી નાખી છે.
આઝાદીની લડત અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં મોટી ઘટનાઓ
ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં આજના દિવસનું વિશેષ મહત્વ છે. વર્ષ 1881માં લોકમાન્ય તિલકના સંપાદન હેઠળ 'કેસરી' અખબારનો પ્રથમ અંક આજ રોજ પ્રકાશિત થયો હતો, જેણે ક્રાંતિની જ્યોત જગાવી હતી. વર્ષ 1924માં આજના દિવસે મહાત્મા ગાંધીને તેમની નાદુરસ્ત તબિયતને કારણે જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. આધુનિક યુગની વાત કરીએ તો, વર્ષ 2014માં ભારતીય મૂળના સત્ય નડેલાને Microsoftના CEO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, જે ભારત માટે ગૌરવની ક્ષણ હતી.
4 ફેબ્રુઆરી: ઇતિહાસમાં નોંધાયેલી અન્ય મહત્વપૂર્ણ ક્ષણો
1628: શાહજહાંનો આગરામાં મુઘલ સમ્રાટ તરીકે રાજ્યાભિષેક કરવામાં આવ્યો.
1948: શ્રીલંકાએ બ્રિટિશ શાસનમાંથી આઝાદી મેળવી.
1973: ભારતના સૌથી મોટા વેપારી જહાજ 'જવાહરલાલ નેહરુ'નું ઉદ્ઘાટન થયું.
1990: કેરળનો એર્નાકુલમ જિલ્લો દેશનો પ્રથમ 100 ટકા સાક્ષર જિલ્લો જાહેર થયો.
2011: ઇન્ટરનેટ ક્ષેત્રે નવા યુગની શરૂઆત થઈ અને IPv6 સિસ્ટમ અમલી બની.
2021: ચૌરી ચૌરા કાંડના શતાબ્દી મહોત્સવની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂઆત કરાવી હતી.
જન્મદિવસ અને મહાન વિભૂતિઓ
આજનો દિવસ કલા અને સંગીત ક્ષેત્રની દિગ્ગજ હસ્તીઓના જન્મ માટે પણ જાણીતો છે. ભારત રત્ન પંડિત ભીમસેન જોશી, કથક સમ્રાટ બિરજુ મહારાજ અને ભરતનાટ્યમ નૃત્યાંગના પદ્મા સુબ્રહ્મણ્યમ જેવી મહાન વિભૂતિઓનો આજે જન્મદિવસ છે. બોલિવૂડ અભિનેત્રી ઉર્મિલા માતોંડકર પણ આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે. વિજ્ઞાન જગતમાં મહત્વનું યોગદાન આપનાર સત્યેન્દ્ર નાથ બોઝની આજે પુણ્યતિથિ છે, જેમણે ક્વોન્ટમ ફિઝિક્સમાં મોટું નામ કમાવ્યું હતું.




















