Gujarat Police: ગુજરાત પોલીસ વિભાગના પોલીસ કર્મચારી-અધિકારીઓને સંવર્ગવાર સમયસર બઢતી મળી રહે તે માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સમયસર બઢતી મળતા પોલીસ કર્મચારીઓના મનોબળમાં પણ વધારો થયો છે. ગઈ કાલે તા.૩૦ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ વધુ ૨૪૦ એએસઆઇ ખાતાકીય બઢતી પરીક્ષા ઉતીર્ણ થતાં તેમને બઢતી આપવામાં આવી છે. ચાલુ વર્ષે પી.એસ.આઇ થી લઈને કલેરિકલ સ્ટાફ મળીને કુલ ૬૭૭૦ કર્મચારીઓને બઢતી અપાતા પોલીસ કર્મચારીગણમાં આનંદ ફેલાયો છે.
ચાલુ વર્ષે કુલ ૬૭૭૦ પોલીસ કર્મચારી-અધિકારીઓને બઢતી
કર્મચારીની બઢતી તેનામાં નવી ઉર્જાનો સંચાર કરીને કાર્યક્ષમતા વધારવામાં તો મહત્વનો ભાગ ભજવે જ છે. ઉપરાંત કર્મચારીની બઢતી સમગ્ર પરિવારને પણ સ્પર્ષતો મુદ્દો છે. તેથી રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા આ બાબતને ખુબ જ સંવેદનાથી લઇ પોલીસ કર્મચારીઓની બઢતી માટે તમામ જરૂરી સંલગ્ન પ્રક્રિયાઓ સમયસર કરવા આદેશો આપવામાં આવ્યા છે. જેના પરિણામસ્વરૂપે ગુજરાત પોલીસ વિભાગમાં ચાલુ વર્ષે કુલ ૬૭૭૦ પોલીસ કર્મચારી-અધિકારીઓને બઢતી મળતા તેમના પરિવારમાં ખુશીનો માહોલ સર્જાયો છે. આ નિર્ણયથી પોલીસ કર્મચારીઓમાં નવી ઉર્જાનો સંચાર થયો છે અને તેઓ વધુ સમર્પણભાવે ફરજ બજાવવા માટે પ્રેરાયા છે.
૩૩૫૬ પોલીસ કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી
વર્ષ-૨૦૨૪માં અત્યાર સુધીમાં ૩૪૧ પી.એસ.આઇને પી.આઇ, ૩૯૭ એ.એસ.આઇને પી.એસ.આઇ, ૨૪૪૫ હેડ કોન્સ્ટેબલને એ.એસ.આઇ અને ૩૩૫૬ પોલીસ કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવામાં આવી છે. આ ઉપરાંત, ૨૩૧ ક્લેરીકલ સ્ટાફને પણ બઢતીનો લાભ મળ્યો છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના મજબૂત નેતૃત્વ હેઠળ પોલીસ કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા માટે અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે પોલીસ કર્મચારીઓને બઢતી આપવાનો ઉદ્દેશ્ય માત્ર તેમના વાજબી હકને સમ્માન કરવો જ નહીં, પરંતુ તેમના ઉત્સાહ અને કાર્યક્ષમતામાં વધારો કરવાનો છે. આ નિર્ણયથી રાજ્યની લૉ એન્ડ ઓર્ડર વ્યવસ્થામાં વધુ મજબૂતી આવશે.
'ગુજરાતીઓને અભણ કહેતા પહેલા ઇતિહાસ જાણી લેવો જોઈએ': ખડગેના નિવેદન પર માયાભાઈ આહીરનો જડબાતોડ જવાબ






