મહિલા ODI વર્લ્ડ કપ 2025 ના શેડ્યુલમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમને મૂળ શેડ્યુલમાંથી કાઢી નાખવામાં આવ્યું છે અને આગામી એક કે બે દિવસમાં તેની સત્તાવાર પુષ્ટિ થઈ શકે છે. ક્રિકબઝ અનુસાર બેંગલુરુમાં યોજાનારી મેચોનું આયોજન તિરુવનંતપુરમને સોંપવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે વર્લ્ડ કપ 30 સપ્ટેમ્બરથી 2 નવેમ્બર સુધી ચાલશે અને આ ટુર્નામેન્ટ ભારત અને શ્રીલંકા સંયુક્ત રીતે યોજી રહ્યા છે.
શેડ્યુલમાં ફેરફારની હજુ સુધી પુષ્ટિ કરવામાં આવી નથી. એક અહેવાલ મુજબ શેડ્યુલમાં ફેરફારનો નિર્ણય સોમવારે લેવામાં આવ્યો છે કારણ કે કર્ણાટક રાજ્ય ક્રિકેટ એસોસિએશન (KSCA) ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મેચોનું આયોજન કરવા માટે કર્ણાટક સરકાર પાસેથી પરવાનગી મેળવવામાં નિષ્ફળ ગયું છે. BCCIએ KSCA ને પરવાનગી માટે વધુ 2 દિવસનો સમય આપ્યો હતો તેમ છતાં તેને પરવાનગી મળી શકી નથી.
ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં કોઈ મેચ નહીં થાય
ચિન્નાસ્વામી સ્ટેડિયમને વર્લ્ડ કપમાં કુલ 5 મેચનું આયોજન સોંપવામાં આવ્યું હતું. ટૂર્નામેન્ટની પહેલી મેચ પણ અહીં 30 સપ્ટેમ્બરે ભારત અને શ્રીલંકા વચ્ચે રમવાની હતી. પરંતુ IPL 2025માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ઐતિહાસિક જીત બાદ 4 જૂને ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર નાસભાગ મચી ગઈ હતી જેમાં 11 લોકોએ જીવ ગુમાવ્યા હતા.





















