Iran Israel Attack: ઓમાનના સોહાર શહેરમાં થયેલા એક હુમલામાં બે ભારતીય નાગરિકોના મોત થયા છે અને અન્ય 10 લોકો ઘાયલ થયા છે. વિદેશ મંત્રાલયે (MEA) શુક્રવારે આ અંગેની માહિતી આપી હતી. અધિક સચિવ (ખાડી) અસીમ આર. મહાજને જણાવ્યું કે આ ઘટનામાં કુલ 11 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 10 ભારતીયો છે.
ઘાયલો પૈકી પાંચ લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, જ્યારે બાકીના પાંચની સારવાર હજુ ચાલુ છે. મહાજને કહ્યું, ‘મસ્કટમાં એક કમનસીબ ઘટના બની છે. મસ્કટ શહેરના સોહારમાં થયેલા આ હુમલામાં 2 ભારતીય નાગરિકોના મોત થયા છે અને 11 લોકો ઘાયલ થયા છે; ઘાયલોમાંથી 10 ભારતીય છે. 5 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે, જ્યારે 5 હજુ સારવાર હેઠળ છે.’
વિદેશ મંત્રાલયની કાર્યવાહી
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતીય અધિકારીઓ આ ઘટના અંગે ઓમાનના સત્તાધીશોના સંપર્કમાં છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે અસરગ્રસ્ત ભારતીય નાગરિકોને તમામ શક્ય સહાય પૂરી પાડવામાં આવી રહી છે. બીજી તરફ, અલ જઝીરાના એક અહેવાલમાં ઓમાનની સરકારી સમાચાર એજન્સીને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે ડ્રોન હુમલામાં બે વિદેશી નાગરિકોના મોત થયા છે.
હુમલાની વિગત
અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે, ‘શુક્રવારે સવારે એક ડ્રોન અલ-અવાહી ઔદ્યોગિક વિસ્તાર સાથે અથડાયું હતું, જેના કારણે બે વિદેશી નાગરિકોના મોત થયા હતા અને અન્ય લોકો ઘાયલ થયા હતા.’ આ મામલે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.




















