રાજ્ય સરકારની આજે યોજાયેલી કેબિનેટ બેઠકમાં એક મહત્વપૂર્ણ અને જનહિતકારી નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં યોજાયેલી બેઠકમાં 1 એપ્રિલથી આવક, જાતિ સહિતના કુલ 18 પ્રકારના પ્રમાણપત્રો ઓનલાઈન ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી રાજ્યના અંદાજે 70થી 80 લાખ પરિવારને સીધો લાભ થવાનો છે.
1 એપ્રિલથી 18 પ્રમાણપત્રો ઓનલાઈન મળશે
દર વર્ષે શાળા શરૂ થતાં જ વિદ્યાર્થીઓ અને વાલીઓને આવકનો દાખલો, જાતિ પ્રમાણપત્ર સહિત વિવિધ સરકારી પ્રમાણપત્રોની જરૂર પડતી હોય છે. અત્યાર સુધી આ પ્રમાણપત્રો મેળવવા માટે લોકોને અલગ-અલગ સરકારી કચેરીઓના ચક્કર લગાવવા પડતા હતા, જેના કારણે સમય અને મહેનત બન્ને વેડફાતી હતી. હવે 1 એપ્રિલથી આ તમામ 18 પ્રમાણપત્રો ઓનલાઈન મળશે, જેના કારણે લોકોને મોટી રાહત મળશે.
70થી 80 લાખ પરિવારને સીધો લાભ મળશે
કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, “આ સમસ્યાને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીએ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી છે કે પ્રમાણપત્ર મેળવવાની સમગ્ર પ્રક્રિયા કેવી રીતે ઓનલાઈન અને ફેસલેસ બને તે સુનિશ્ચિત કરવામાં આવે. આ નિર્ણયના પરિણામે લોકોને સરકારી કચેરીઓમાં દોડવું નહીં પડે અને પ્રક્રિયા વધુ પારદર્શક બનશે.” મંત્રી જીતુ વાઘાણીએ વધુમાં જણાવ્યું કે, આ વ્યવસ્થાથી 70થી 80 લાખ પરિવારને સીધો લાભ મળશે અને ખાસ કરીને વિદ્યાર્થીઓ, વાલીઓ તથા સામાન્ય નાગરિકોને મોટી સુવિધા મળશે.
નાગરિકોને ઝડપી, સરળ અને પારદર્શક સેવાઓ ઉપલબ્ધ થશે
સરકારના આ નિર્ણયને જનતા માટે એક મોટું રાહત પેકેજ માનવામાં આવી રહ્યું છે. કુલ મળીને, રાજ્ય સરકારનો આ નિર્ણય ડિજિટલ ઇન્ડિયા અને સરળ શાસન તરફનો મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે, જેનાથી નાગરિકોને ઝડપી, સરળ અને પારદર્શક સેવાઓ ઉપલબ્ધ થશે.




















