ભારતીય સંસ્કૃતિમાં તહેવારો અને પ્રસંગો દરમિયાન સ્ત્રીઓ દ્વારા કરવામાં આવતા ૧૬ શણગારનું વિશેષ મહત્ત્વ છે. સામાન્ય રીતે લોકો તેને માત્ર સુંદરતા અને ફેશન સાથે જોડીને જુએ છે પરંતુ જ્યોતિષ શાસ્ત્રમાં આ બાબતે ખૂબ ઊંડાણપૂર્વક વાત કરવામાં આવી છે. શાસ્ત્રો મુજબ સ્ત્રીઓના દરેક આભૂષણ અને મેકઅપનો સંબંધ સીધો નવગ્રહ સાથે હોય છે. જ્યારે કોઈ મહિલા પૂર્ણ રીતે તૈયાર થાય છે ત્યારે તેનાથી માત્ર તેનું રૂપ નથી ખીલતું પરંતુ તેની કુંડળીમાં રહેલા ગ્રહો પણ શાંત થાય છે અને પોઝિટિવ એનર્જી મળે છે. આ શણગાર ધારણ કરવાથી મનને શાંતિ મળે છે અને આત્મવિશ્વાસમાં વધારો થાય છે. આવો જાણીએ કે કયો શણગાર કયા ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે.
લાલ વસ્ત્રો અને સૂર્ય ગ્રહનું કનેક્શન
હિન્દુ ધર્મમાં લગ્ન પ્રસંગે કે શુભ કાર્યોમાં સ્ત્રીઓ લાલ રંગના વસ્ત્રો જેમ કે સાડી અથવા લહેંગા પહેરવાનું પસંદ કરે છે. જ્યોતિષ મુજબ લાલ રંગનો સંબંધ સૂર્ય ગ્રહ સાથે છે. સૂર્યને ગ્રહોના રાજા માનવામાં આવે છે જે ઉર્જા અને તેજનું પ્રતીક છે. લાલ વસ્ત્રો ધારણ કરવાથી સ્ત્રીઓમાં રહેલી એનર્જી અને નેતૃત્વ શક્તિમાં વધારો થાય છે. આ ઉપરાંત શરીરની રોગપ્રતિકારક શક્તિ પર પણ સૂર્યનો પ્રભાવ રહેલો હોય છે.
ચાંદલો અને ચંદ્રની શીતળતા
સ્ત્રીઓ કપાળ પર જે બિંદી કે ચાંદલો લગાવે છે તેનો સંબંધ ચંદ્ર ગ્રહ સાથે હોય છે. શરીર વિજ્ઞાન અનુસાર બે ભ્રમર વચ્ચેના ભાગને આજ્ઞા ચક્ર કહેવામાં આવે છે. અહીં ચંદ્રનું સ્થાન હોવાથી લાલ કે કુમકુમનો ચાંદલો કરવાથી મનને શાંતિ મળે છે. ચંદ્ર મનનો કારક હોવાથી તે માનસિક સ્થિરતા પ્રદાન કરે છે અને ઈમોશનલ બેલેન્સ જાળવી રાખવામાં મદદરૂપ થાય છે.
સિંદૂર અને મંગળ ગ્રહનો પ્રભાવ
સૌભાગ્યવતી સ્ત્રીઓ માટે સેંથામાં સિંદૂર પૂરવું અનિવાર્ય માનવામાં આવે છે. લાલ રંગનું સિંદૂર મંગળ ગ્રહનું પ્રતીક છે. મંગળ ગ્રહ શક્તિ અને સાહસ માટે જાણીતો છે. સિંદૂર લગાવવાથી સ્ત્રીઓમાં અને તેમના દાંપત્ય જીવનમાં ઉર્જા જળવાઈ રહે છે. તે પતિના લાંબા આયુષ્ય અને સુખ માટે પણ શુભ માનવામાં આવે છે.
કાજળ અને શનિ દેવનું રક્ષણ
આંખોમાં કરવામાં આવતું કાજળ અથવા સુરમો શનિ ગ્રહ સાથે જોડાયેલો છે. શનિ ન્યાયના દેવતા છે અને ખરાબ દ્રષ્ટિથી બચાવે છે. એવું માનવામાં આવે છે કે આંખોમાં કાજળ લગાવવાથી લોકોની ખરાબ નજર એટલે કે નેગેટિવ એનર્જીથી રક્ષણ મળે છે. આ શણગાર સ્ત્રીને સુરક્ષા કવચ પૂરું પાડે છે.
નથ અને શુક્ર ગ્રહ
નાકમાં પહેરવામાં આવતી નથ કે ચૂંકનો સંબંધ શુક્ર અને ચંદ્ર બંને સાથે છે. શુક્ર ગ્રહ સુંદરતા અને પ્રેમનો કારક છે. નથ પહેરવાથી ચહેરાની સુંદરતા વધે છે અને પતિ પત્ની વચ્ચેના પ્રેમમાં વધારો થાય છે. તે દાંપત્ય જીવનમાં મધુરતા લાવવાનું કામ કરે છે.
મંગળસૂત્ર અને ગળાના આભૂષણો
ગળામાં પહેરવામાં આવતા સોનાના આભૂષણો અને મંગળસૂત્ર ગુરુ અને સૂર્ય ગ્રહ સાથે સંબંધ ધરાવે છે. સોનું ગુરુ ગ્રહની ધાતુ છે જે સુખ અને સમૃદ્ધિ આપે છે. મંગળસૂત્ર લગ્ન જીવનની રક્ષા કરે છે અને પરિવારમાં ખુશીઓ લાવે છે.
બંગડીઓ અને પાયલનો પ્રભાવ
હાથમાં પહેરવામાં આવતી બંગડીઓ બુધ અને ચંદ્ર ગ્રહને અનુકૂળ કરે છે. બંગડીઓના અવાજથી આસપાસનું વાતાવરણ પોઝિટિવ બને છે. જ્યારે પગમાં પહેરવામાં આવતી ચાંદીની પાયલ શનિ અને ચંદ્ર સાથે જોડાયેલી છે. પગનો ભાગ શનિનું સ્થાન ગણાય છે અને ચાંદી ચંદ્રની ધાતુ છે. પાયલ પહેરવાથી હાડકાં મજબૂત થાય છે અને સ્ત્રીઓને પગના દુખાવામાં રાહત રહે છે.
મહેંદી અને ઇત્ર
હાથમાં મુકવામાં આવતી મહેંદી રાહુ અને શુક્ર ગ્રહને શાંત કરે છે. મહેંદીની તાસીર ઠંડી હોય છે જે તણાવ ઓછો કરે છે. જ્યારે સુગંધિત ઇત્ર કે પરફ્યુમ લગાવવાથી શુક્ર ગ્રહ બળવાન બને છે જેનાથી જીવનમાં લક્ઝરી અને આકર્ષણ વધે છે.





















