ભારત સરકાર પોતાની સીમાઓને સુરક્ષિત કરવા અને ચીન-પાકિસ્તાન સામે વ્યૂહાત્મક સરસાઈ મેળવવા માટે પહાડો ચીરીને રસ્તાઓ બનાવવાની દિશામાં તેજ ગતિએ આગળ વધી રહી છે. માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવેલી યોજના મુજબ, હિમાલયના દુર્ગમ વિસ્તારોમાં અનેક સુરંગો (ટનલ) બનાવવામાં આવશે જે સેનાના ભારે તોપખાના અને મિસાઈલ સિસ્ટમને દુશ્મનની નજરથી બચાવીને સીમા સુધી પહોંચાડવામાં મદદરૂપ થશે. આ પ્રોજેક્ટ્સ માત્ર સૈન્ય દ્રષ્ટિએ જ નહીં, પરંતુ જે-તે રાજ્યોના સામાજિક-આર્થિક વિકાસ માટે પણ ગેમ-ચેન્જર સાબિત થશે.
લદ્દાખમાં રચાશે ઈતિહાસ: 15,800 ફૂટની ઊંચાઈએ શિંકુ લા ટનલ
આ પ્રોજેક્ટની સૌથી મહત્વની કડી શિંકુ લા ટનલ છે, જે 4.1 કિલોમીટર લાંબી હશે. 15,800 ફૂટની ઊંચાઈએ નિર્માણ પામનારી આ ટનલ દુનિયાની સૌથી ઊંચી ટનલનો રેકોર્ડ બનાવશે. આ ટનલ લદ્દાખને નિમ્મૂ-પદમ-દારચા માર્ગ દ્વારા ત્રીજો વૈકલ્પિક 'ઓલ-વેધર' રૂટ પૂરો પાડશે. આ રૂટ સરહદથી સુરક્ષિત અંતરે હોવાને કારણે યુદ્ધ જેવી સ્થિતિમાં ભારત માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. આ વર્ષના મધ્ય સુધીમાં તેનું ખોદકામ શરૂ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
પૂર્વોત્તરમાં સૈન્ય શક્તિ વધશે: તવાંગ અને મણિપુરમાં નવી ટનલ
અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં બનનારી સ્મલ્દર ટનલ ભારતીય સેના માટે વરદાન સાબિત થશે. તેનાથી ભારે હથિયારોને સેટેલાઇટની નજરથી બચાવીને વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) સુધી પહોંચાડી શકાશે. આ ઉપરાંત મણિપુરમાં મોરહે-થુઈબુલ ટનલ દક્ષિણ-પૂર્વ એશિયા સાથેના વેપારને વેગ આપશે અને એશિયન હાઈવે પ્રોજેક્ટનો મહત્વનો હિસ્સો બનશે.
મહારાષ્ટ્ર અને કેરાલામાં પણ ટનલનું આયોજન
ભારત સરકાર ટનલ નિર્માણના ક્ષેત્રમાં માત્ર હિમાલય પૂરતી મર્યાદિત નથી, પરંતુ પશ્ચિમ ઘાટ અને દક્ષિણ ભારતમાં પણ ટ્રાફિકની સમસ્યાના કાયમી ઉકેલ માટે અત્યાધુનિક આયોજન કરી રહી છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાં મુંબઈ-પુણે અને મુંબઈ-ગોવા જેવા વ્યસ્ત રૂટ પર મુસાફરીને વધુ ઝડપી અને સુરક્ષિત બનાવવા માટે ખમશેત-કાસરઘાટ ટનલ પ્રોજેક્ટ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. આ ટનલ દ્વારા ઘાટના જોખમી અને વાંકાચૂંકા રસ્તાઓ પરથી ટ્રાફિકનું ભારણ ઘટશે, જેનાથી મુસાફરોનો સમય બચશે અને ઈંધણની પણ બચત થશે.
બીજી તરફ, કેરાલામાં પર્યાવરણના જતનને ધ્યાનમાં રાખીને એક વિશિષ્ટ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. વાયનાડ અને મલપ્પુરમ વચ્ચે કનેક્ટિવિટી વધારવા માટે 'ઈકો-ફ્રેન્ડલી' ટનલ બનાવવાનું આયોજન છે. આ સુરંગની વિશેષતા એ છે કે તેને એવી રીતે ડિઝાઈન કરવામાં આવી છે કે જેથી તે વિસ્તારના કુદરતી હાથી કોરિડોરને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડ્યા વિના વન્યજીવોના મુક્ત વિચરણમાં અવરોધ ન બને. આમ, સરકાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રકૃતિ વચ્ચે સંતુલન જાળવીને પ્રાદેશિક કનેક્ટિવિટીને નવા સ્તરે લઈ જઈ રહી છે.
જમ્મુ-કાશ્મીરમાં સિંથન ટોપ ટનલનો ફાઈનલ સ્ટેજ
અનંતનાગને કિશ્તવાડ સાથે જોડતી સિંથન ટોપ ટનલ (10-12 કિમી લાંબી) ની DPR પ્રક્રિયા અંતિમ ચરણમાં છે. શિયાળામાં જ્યારે ભારે હિમવર્ષાને કારણે રસ્તાઓ બંધ થઈ જાય છે, ત્યારે આ ટનલ કાશ્મીર ઘાટી અને જમ્મુ વચ્ચે સુરક્ષિત સંપર્ક જાળવી રાખશે. હાલમાં તેનું જિઓ-ટેકનિકલ સર્વેક્ષણ ચાલી રહ્યું છે.




















