બિહારના પૂર્વી ચંપારણ જિલ્લાના મોતીહારીમાં આવેલા કૈથવલિયા ગામમાં વિશ્વના સૌથી મોટા શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે. વિરાટ રામાયણ મંદિર (Virat Ramayan Mandir) પરિસરમાં આ ઐતિહાસિક સ્થાપના વિધિ સંપન્ન થઈ હતી. આ પ્રસંગે વારાણસી અને અયોધ્યાથી આવેલા વિદ્વાન પંડિતો દ્વારા મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના કરવામાં આવી હતી અને હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી.
210 ટન વજનના શિવલિંગની કેવી રીતે થઈ સ્થાપના?
આ વિશાળ શિવલિંગનું કુલ વજન આશરે 210 મેટ્રિક ટન છે. આટલા ભારે શિવલિંગને સ્થાપિત કરવા માટે બે અત્યાધુનિક અને મોટી ક્રેનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સ્થાપના બાદ દેશની વિવિધ પવિત્ર નદીઓના જળથી બાબા ભોલેનાથનો જલાભિષેક કરવામાં આવ્યો હતો. આ ભવ્ય નજારાના સાક્ષી બનવા માટે મોટી સંખ્યામાં સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.
શિવલિંગની વિશેષતાઓ
ઊંચાઈ: આ શિવલિંગની ઊંચાઈ આશરે 33 ફૂટ છે.
નિર્માણ: આ આખું શિવલિંગ તમિલનાડુના મહાબલીપુરમમાં ગ્રેનાઈટ પથ્થરમાંથી તૈયાર કરવામાં આવ્યું છે.
સહસ્ત્ર લિંગમ: આ શિવલિંગની ખાસિયત એ છે કે તેમાં 1008 નાના શિવલિંગ કોતરવામાં આવ્યા છે, જેના કારણે તેને 'સહસ્ત્ર લિંગમ' તરીકે ઓળખવામાં આવે છે. તેને વિશ્વનું સૌથી મોટું એકલ શિવલિંગ માનવામાં આવી રહ્યું છે.
કુતુબ મિનારથી પણ ઊંચું હશે મંદિર
બિહારમાં નિર્માણ પામી રહેલું આ વિરાટ રામાયણ મંદિર 120 એકરમાં ફેલાયેલું હશે. જ્યારે આ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થશે, ત્યારે તેનો મુખ્ય શિખર 270 ફૂટ ઊંચો હશે. ઊંચાઈની દ્રષ્ટિએ આ મંદિર અયોધ્યાના રામ મંદિર અને દિલ્હીના કુતુબ મિનારને પણ પાછળ છોડી દેશે.





















