સનાતન ધર્મમાં તુલસીના છોડનું વિશેષ મહત્વ છે અને તેની પૂજા દેવી લક્ષ્મીના સ્વરૂપમાં કરવામાં આવે છે. માત્ર ધાર્મિક જ નહીં પણ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ તુલસી ગુણકારી ઔષધિ છે. જોકે ઘણા લોકો તુલસીના પાન સીધા ચાવીને ખાતા હોય છે. જો તમે પણ આવું કરતા હોવ તો સાવધાન થઈ જજો કારણ કે આવું કરવું તમારી શ્રદ્ધા અને સ્વાસ્થ્ય બંને માટે હાનિકારક સાબિત થઈ શકે છે. તુલસીના પાન ચાવવા પાછળ ધર્મ અને વિજ્ઞાન શું કહે છે તે અંગે અહીં વિગતવાર માહિતી આપવામાં આવી છે.
શાસ્ત્રો અને પુરાણો અનુસાર તુલસીને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે અને તે અત્યંત પવિત્ર ગણાય છે. ધાર્મિક માન્યતા એવી છે કે તુલસીના પ્રત્યેક પાનમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે. આ કારણે જ પૂજામાં પણ ક્યારેય ખંડિત પાન ચઢાવવામાં આવતા નથી. જો તમે તુલસીના પાન દાંત વડે ચાવો છો તો તે દેવીનું અપમાન કર્યા સમાન ગણાય છે. તેથી ધાર્મિક દ્રષ્ટિએ પાન ચાવવું અયોગ્ય અને દોષપૂર્ણ માનવામાં આવે છે.
બીજી તરફ વિજ્ઞાન પણ તુલસીના પાન ચાવવાની ના પાડે છે. વૈજ્ઞાનિક તથ્યો મુજબ તુલસીમાં મરક્યુરી (Mercury) અને આયર્નનું પ્રમાણ હોય છે. જ્યારે આપણે પાન ચાવીએ છીએ ત્યારે આ તત્વો દાંતના સંપર્કમાં આવે છે. તેનાથી દાંતના રક્ષણાત્મક કવચ એટલે કે ઈનેમલ (Enamel) ને નુકસાન પહોંચે છે અને દાંત ખરાબ થવાની કે ઘસાઈ જવાની શક્યતા વધી જાય છે.
આ ઉપરાંત તુલસીના પાનની પ્રકૃતિ ગરમ હોય છે અને તેમાં હળવા પ્રમાણમાં એસિડિક તત્વો હોય છે. જો તેને વારંવાર ચાવવામાં આવે તો મોઢા અને પેટમાં એસિડિટી જેવી સમસ્યા થઈ શકે છે. તેમાં અલ્પ માત્રામાં આર્સેનિક (Arsenic) પણ હોય છે જે વધુ પડતા સેવનથી શરીરમાં ટોક્સિન જમા કરી શકે છે.
આયુર્વેદ મુજબ તુલસી એક શ્રેષ્ઠ ઔષધિ છે જેમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી વાયરલ ગુણો રહેલા છે. નિષ્ણાતોના મતે તુલસીનો મહત્તમ લાભ લેવા માટે તેને ચાવવાને બદલે પાણી સાથે ગળી જવું જોઈએ. આ સિવાય તમે ચા અથવા ઉકાળો બનાવીને પણ તેનું સેવન કરી શકો છો. શરદી અને ખાંસી જેવી સમસ્યામાં તુલસીના પાનનો રસ મધ અથવા આદુ સાથે લેવાથી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.





















