ભારતે સોમવારથી અમેરિકામાં આંતરરાષ્ટ્રીય ટપાલ સેવાઓ બંધ કરવાની જાહેરાત કરી છે. ભારતીય ટપાલ વિભાગે કહ્યું છે કે માત્ર 100 ડોલરથી ઓછી કિંમતના પત્રો, દસ્તાવેજો અને ભેટો જ અમેરિકા મોકલી શકાશે. ભારત, ફ્રાન્સ, બ્રિટન અને ઘણા યુરોપિયન દેશોએ પણ અમેરિકામાં ટપાલ સેવાઓ અસ્થાયી રૂપે બંધ કરી દીધી છે. આવી સ્થિતિમાં, પ્રશ્ન એ ઊભો થાય છે કે વિશ્વભરના દેશો અમેરિકામાં ટપાલ સેવાઓ આટલી ઝડપથી કેમ બંધ કરી રહ્યા છે? ભારત સહિત અન્ય દેશો દ્વારા અમેરિકામાં ટપાલ સેવાઓ બંધ કરવા પાછળનું કારણ ટેરિફ છે. નવો ટેરિફ 29 ઓગસ્ટ, 2025 થી અમલમાં આવશે.
યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 30 જુલાઈના રોજ એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા હતા અને લગભગ સો વર્ષ જૂના "ડી મિનિમિસ મુક્તિ"નો અંત લાવ્યો હતો. આ મુક્તિ હેઠળ, યુએસમાં આવતા $800 સુધીના માલ પર કોઈ ડ્યુટી નહતી લગતી. પરંતુ હવે યુએસમાં દરેક પાર્સલ પર ટેરિફ સંબંધિત દેશના વેપાર સંબંધોના આધારે નક્કી કરવામાં આવશે.
પાર્સલ પર ભારે ચાર્જ
નવા નિયમો હેઠળ, લગભગ તમામ પાર્સલ પર ભારે ડ્યુટી લગાવવામાં આવશે, જેનાથી પોસ્ટલ ઓપરેટરો અને નિકાસકારો બંનેને મુશ્કેલી પડી રહી છે. ભારતીય ટપાલ વિભાગનું કહેવું છે કે યુએસ કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શન (CBP) તરફથી સ્પષ્ટ માર્ગદર્શિકાના અભાવે તેમને યુએસને પોસ્ટલ પાર્સલ સેવાઓ બંધ કરવાનો નિર્ણય લેવો પડ્યો છે. યુએસ દ્વારા બનાવેલા નવા નિયમો અનુસાર, 15% સુધીના ટેરિફવાળા દેશોના પાર્સલ પર $80 ની વધારાની ડ્યુટી લાગશે. 16% થી 25% સુધીના ટેરિફવાળા દેશોના પાર્સલ પર $160 ની વધારાની ડ્યુટી લાગશે. 25% થી વધુ ટેરિફવાળા દેશોના પાર્સલ પર $200 ની વધારાની ડ્યુટી લાગશે. આનો અર્થ એ થયો કે ભારતમાંથી મોકલવામાં આવતા $30 (લગભગ ₹2,620) મૂલ્યના પાર્સલ માટે ટેરિફ તરીકે રૂ. 17,500 ચૂકવવા પડી શકે છે, કારણ કે US એ ભારત પર 25% થી વધુ ટેરિફ લગાવ્યો છે.
De Minimis Exemption થી મુક્તિ શું છે?
આ નિયમ 1930 ના દાયકામાં લાગુ કરવામાં આવ્યો હતો જેથી નાના મૂલ્યના માલને કસ્ટમ ડ્યુટી ચૂકવવી ન પડે. 2016 માં, બરાક ઓબામા સરકારે તેની મર્યાદા 200 ડોલરથી વધારીને 800 ડોલર કરી. આ મુક્તિથી નાના વ્યવસાયો, ઈ-કોમર્સ પ્લેટફોર્મ અને ગ્રાહકોને મોટી રાહત મળી. ટ્રમ્પ વહીવટીતંત્રે આ વર્ષે મે મહિનામાં ચીન અને હોંગકોંગને આ મુક્તિમાંથી બાકાત રાખ્યા હતા. હવે 29 ઓગસ્ટથી, આ મુક્તિ બધા દેશો માટે સમાપ્ત થઈ જશે. આ પછી, લગભગ દરેક પાર્સલ યુએસ કસ્ટમના કાર્યક્ષેત્રમાં આવશે.
નાના વ્યવસાયો પર મોટી અસર
પોસ્ટલ પાર્સલ પર ભારે ટેરિફ ભારતીય નિકાસકારોને ખૂબ જ ખરાબ અસર કરશે, ખાસ કરીને નાના વેપારીઓ અને ઈ-કોમર્સ વિક્રેતાઓ પર. તેઓ સસ્તા અને હળવા પાર્સલ દ્વારા યુએસ બજારમાં પ્રવેશતા હતા. હવે $20 કે $30 ની કિંમતની વસ્તુઓ પણ $80 ની ડ્યુટીમાં અટવાઈ શકે છે. આનાથી તેમનો નફો ઘટશે અને ઘણા વેપારીઓને તેમના ભાવ વધારવા અથવા યુએસમાં માલ મોકલવાનું બંધ કરવાની ફરજ પડી શકે છે.
આની અમેરિકન ખરીદદારોને પણ અસર થશે. તેમને હવે ડિલિવરીમાં વિલંબ અને ઊંચા ખર્ચનો સામનો કરવો પડી શકે છે. જે માલ પહેલા ડ્યુટી-ફ્રી આવતો હતો તેના પર હવે ભારે ટેક્સ લગાવવામાં આવી શકે છે. આનાથી તેઓ ઊંચા ભાવે માલ ખરીદશે.






