Why Everyday Yog Guru Pradip sit on a tiger skin: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહીથી ખુલાસો થયેલી એક ચોંકાવનારી કહાની હવે સમગ્ર રાજ્યભરમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. બહારથી યોગ અને આધ્યાત્મિકતા નો આવરણ ધરાવતો એક આશ્રમ, અંદરથી નકલી નોટોના ગેરકાયદેસર કારોબારનું કેન્દ્ર નીકળ્યો. અને આ આખી કહાનીનો મુખ્ય પાત્ર હતો સુરતનો કથિત યોગગુરુ પ્રદીપ જોટંગીયા.
18 માર્ચના રોજ અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં પોલીસે એક ફોરચ્યુનર કાર રોકી તપાસ કરતા અંદરથી બે કરોડ રૂપિયાથી વધુ કિંમતની નકલી ચલણી નોટો મળી આવી. આ સાથે જ પ્રદીપ અને તેના 6 સાગરિતોની ધરપકડ કરવામાં આવી. શરૂઆતમાં આ કેસ માત્ર નકલી નોટો સુધી મર્યાદિત લાગતો હતો, પરંતુ તપાસ આગળ વધતા અનેક ચોંકાવનારા ખુલાસાઓ સામે આવવા લાગ્યા.
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ધોરણ પાટડી વિસ્તારમાં આવેલ શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશન આશ્રમ માત્ર યોગ અને આયુર્વેદનું કેન્દ્ર નહોતું, પરંતુ તે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે ઢાલ તરીકે ઉપયોગમાં લેવાતું હતું. પ્રદીપ પોતાને યોગગુરુ અને આયુર્વેદ નિષ્ણાત તરીકે રજૂ કરીને લોકોમાં વિશ્વાસ ઉભો કરી આશ્રમની આડમાં તમામ પ્રકારના ગેરકાયદે ધંધા અને દેશવિરોધી પ્રવૃત્તિઓ ચલાવતો હતો.
આ કેસમાં વધુ એક ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. એવી વાત સામે આવી છેકે, કથિત યોગગુરુ આશ્રમના સિંહાસન પર વાઘનું ચામડું પાથરીને તેની ઉપર જ બેસતો હતો. અંદરના સુત્રો કહે છેકે, પ્રદીપ જોટંગીયા પોતે એવું માનતો હતો કે વાઘના ચામડાં પર બેસવાથી આયુષ્ય વધે છે અને શક્તિ તથા પ્રસિદ્ધિમાં વધારો થાય છે. એ જ કારણ છેકે, તે આશ્રમમાં હાજર હોય ત્યારે મોટાભાગનો સમય વાઘનું ચામડું પાથરેલાં સિંહાસન પર જ બેસવાનું પસંદ કરતો હતો.
અસલમાં આ વાત ત્યારે સામે આવી જ્યારે ત્યાંના એક સ્થાનિક જાગૃત નાગરિકે આ અંગેની જાણ વનવિભાગને કરી. જોકે, વનવિભાગની ટીમ આવે તે પહેલાં જ પ્રદીપે વાઘના ચામડાને ક્યાંક સગેવગે કરી નાંખ્યું હતું. વન વિભાગને માહિતી મળ્યા બાદ ટીમ તપાસ માટે પહોંચે તે પહેલાં જ આ ચામડું આશ્રમમાંથી હટાવી દેવામાં આવ્યું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનાએ સમગ્ર કેસને વધુ ગંભીર બનાવ્યો છે, કારણ કે તેમાં વનજીવન સંરક્ષણ કાયદાનો ભંગ થવાનો મુદ્દો પણ જોડાઈ શકે છે.
પોલીસ તપાસમાં આ પણ સ્પષ્ટ થયું છે કે પ્રદીપ કોઈ પ્રમાણભૂત યોગી કે ડોક્ટર નથી, પરંતુ એક ઢોંગી વ્યક્તિ છે, જે આધ્યાત્મિકતા અને આરોગ્યના નામે લોકો સાથે છેતરપિંડી કરતો હતો. આશ્રમની આડમાં નકલી નોટોનો જથ્થો ફેલાવવાનો તેનો કારોબાર દેશની આર્થિક સુરક્ષા માટે ખતરો બની શકે એવો હતો. આ સમગ્ર કેસ હવે માત્ર એક ક્રાઈમ સ્ટોરી નહીં, પરંતુ વિશ્વાસ, અંધશ્રદ્ધા અને છેતરપિંડીના જાળમાં ફસાયેલા સમાજ માટે ચેતવણી બની રહ્યો છે. તપાસ હજુ ચાલુ છે અને આવનારા દિવસોમાં વધુ મોટા ખુલાસાઓ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.






