logo-img
Who Will Pay Off The Debt Of The Debtor Rajpal Yadav And Get The Artist Out Of Jail

દેવાદાર રાજપાલ યાદવનું દેવું ચૂકવીને કલાકારને કોણ કાઢશે જેલની બહાર? : "આ ઇન્ડસ્ટ્રીમાં કોઈ કોઈનું નથી..." જેલ જતા પહેલા રાજપાલ યાદવના આ શબ્દો!

દેવાદાર રાજપાલ યાદવનું દેવું ચૂકવીને  કલાકારને કોણ કાઢશે જેલની બહાર?
Play Video
Published by: Offbeat Team
| Last Updated: Feb 12, 2026, 05:45 AM IST

બોલિવૂડના સૌથી લોકપ્રિય કોમેડિયન રાજપાલ યાદવ માટે હાલનો સમય અત્યંત કપરો સાબિત થઈ રહ્યો છે. આશરે 9 કરોડ રૂપિયાના ચેક બાઉન્સ અને લોન ડિફોલ્ટ કેસમાં દિલ્હી હાઈકોર્ટે રાહત આપવાનો ઈનકાર કરતા, અભિનેતાએ 5 ફેબ્રુઆરી 2026ના રોજ દિલ્હીની તિહાર જેલમાં શરણાગતિ સ્વીકારી લીધી છે. જેલ જતા પહેલા રાજપાલ યાદવે ભાવુક થઈને કહ્યું હતું કે, "આ ઈન્ડસ્ટ્રીમાં કોઈ કોઈનું નથી, મારે આ લડાઈ એકલા જ લડવી પડશે." જોકે, તેમના આ નિવેદન બાદ હવે આખી ફિલ્મ ઈન્ડસ્ટ્રી તેમની મદદે આવી છે.

શું છે આખો મામલો?

આ વિવાદની શરૂઆત વર્ષ 2010માં થઈ હતી, જ્યારે રાજપાલ યાદવે પોતાની દિગ્દર્શિત ફિલ્મ 'અતા પતા લાપતા' માટે દિલ્હીના એક બિઝનેસમેન પાસેથી 5 કરોડ રૂપિયાની લોન લીધી હતી. ફિલ્મ બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી અને દેવું વધતું ગયું. વ્યાજ સાથે આ રકમ હવે 9 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. વારંવાર તક આપવા છતાં રકમ ન ચૂકવી શકતા આખરે કોર્ટે તેમને 6 મહિનાની જેલની સજા ફટકારી છે.

બોલિવૂડના દિગ્ગજો આવ્યા વ્હારે

રાજપાલ યાદવના મેનેજર ગોલ્ડીએ પુષ્ટિ કરી છે કે અભિનેતાની લાચારી જોઈને ઉદ્યોગના મોટા સ્ટાર્સ આગળ આવ્યા છે.

  • સલમાન ખાન અને અજય દેવગણ: આ બંને સુપરસ્ટાર્સે આર્થિક મદદ કરવાની તૈયારી દર્શાવી છે.

  • સોનુ સૂદ: હંમેશની જેમ મદદ માટે સૌથી પહેલા આગળ આવતા સોનુ સૂદે રાજપાલ યાદવને પોતાની આગામી ફિલ્મમાં કામ અને સાઈનિંગ અમાઉન્ટ આપવાની જાહેરાત કરી છે.

  • ડેવિડ ધવન અને વરુણ ધવન: દિગ્ગજ ડાયરેક્ટર ડેવિડ ધવને પણ પુષ્ટિ કરી છે કે તેમનો પુત્ર વરુણ ધવન આ મુશ્કેલ સમયમાં રાજપાલ યાદવને આર્થિક સહયોગ આપશે.

  • અન્ય સહાય: મ્યુઝિક પ્રોડ્યુસર રાવ ઈંદરજીત સિંહે 1.11 કરોડ રૂપિયા અને બિહારના રાજનેતા તેજ પ્રતાપ યાદવે 11 લાખ રૂપિયાની આર્થિક મદદ આપવાનું વચન આપ્યું છે.

જામીન પર આજે સુનાવણી

રાજપાલ યાદવના પરિવાર અને ફેન્સ માટે આશાનું કિરણ એ છે કે આજે, 12 ફેબ્રુઆરી 2026 ના રોજ દિલ્હી હાઈકોર્ટમાં તેમના જામીન પર સુનાવણી થવાની છે. તેમના મેનેજરના જણાવ્યા અનુસાર, પરિવારને પૂરો વિશ્વાસ છે કે ઈન્ડસ્ટ્રીના સહકાર અને કાનૂની પ્રક્રિયા બાદ રાજપાલ યાદવ જલ્દી જેલમાંથી બહાર આવશે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now