T20 World Cup : T20 વર્લ્ડ કપ 2026 માં ભારતીય ટીમ અજેય રહીને સેમીફાઇનલમાં પહોંચી ગઈ છે. આ સફરમાં અનેક ખેલાડીઓએ યોગદાન આપ્યું છે, પરંતુ સૌથી વધુ ચર્ચા સંજુ સેમસનની થઈ રહી છે. કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં સંજુએ જે ધમાકેદાર ઇનિંગ રમી, તેનો પાયો 23 દિવસ પહેલા મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં નંખાયો હતો. કેપ્ટન રોહિત શર્માએ સંજુના કાનમાં કહેલી એક વાત આજે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
રોહિત શર્માનો એ જાદુઈ મંત્ર
જ્યારે ભારતીય ટીમ વર્લ્ડ કપના અભિયાન માટે તૈયાર થઈ રહી હતી, ત્યારે સંજુ સેમસન પોતાના ફોર્મને લઈને ચિંતિત હતો. 7 ફેબ્રુઆરીએ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રોહિત શર્મા સંજુને મળ્યો હતો. રોહિતે તેને ગળે લગાડીને ખૂબ જ હકારાત્મક વાત કરી હતી. રોહિતે કહ્યું હતું કે, "કેમ છે? દુઃખી ના થઈશ ભાઈ. આ લાંબી ટુર્નામેન્ટ છે, તને ગમે ત્યારે તક મળી શકે છે." રોહિતના આ શબ્દોએ સંજુમાં નવો આત્મવિશ્વાસ ફૂંક્યો હતો.
સંજુનો સંઘર્ષ અને કમબેક
ટુર્નામેન્ટની શરૂઆતમાં ઈશાન કિશન અને અભિષેક શર્મા જેવા ખેલાડીઓની હાજરીને કારણે સંજુને પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા મળવી મુશ્કેલ લાગતી હતી. અમેરિકા સામેની મેચમાં પણ તે બહાર રહ્યો હતો. જોકે, અભિષેક શર્માના ખરાબ ફોર્મને કારણે સંજુને તક મળી અને તેને સાબિત કરી દીધું કે, તે ટીમ માટે કેટલો મહત્વનો છે. વેસ્ટ ઈન્ડિઝ સામે ઓપનિંગમાં આવીને તેને અંત સુધી નોટઆઉટ રહીને 97 રન બનાવ્યા હતા.
અનુભવનું મળ્યું પરિણામ
પ્લેયર ઓફ ધ મેચ બન્યા બાદ સંજુએ ખૂબ જ મહત્વની વાત કહી હતી. તેને જણાવ્યું કે, "મેં ભલે ઓછી ઇન્ટરનેશનલ મેચ રમી હોય, પણ મેં 100 થી વધુ મેચોમાં મહાન ખેલાડીઓને ગમેને પૂરી કરતાં જોયા છે." આ અનુભવનો ઉપયોગ તેને ઈડન ગાર્ડન્સમાં કર્યો. મુશ્કેલ સ્થિતિમાં વિકેટ ગુમાવ્યા વગર ટીમને જીત સુધી લઈ જવાની તેની ક્ષમતા જોઈને ફેન્સ ગદગદ થઈ ગયા હતા.
આગામી મેચ માટે પ્રબળ દાવેદાર
હવે ભારતીય ટીમ પોતાની આગામી મહત્વની મેચ મુંબઈમાં રમવા જઈ રહી છે. સંજુના શાનદાર ફોર્મને જોતા હવે પ્લેઈંગ ઈલેવનમાં તેનું સ્થાન પાકું માનવામાં આવે છે. T20 વર્લ્ડ કપ પહેલા જે ખેલાડીના સિલેક્શન પર સવાલો ઉઠતા હતા, તે જ ખેલાડી આજે ભારતની સેમીફાઇનલની ટિકિટ કન્ફર્મ કરવામાં મુખ્ય હીરો સાબિત થયો છે.




















