ગુજરાતના વર્ષ 2026-27ના બજેટને લઈને રાજકીય પ્રતિક્રિયાઓ તેજ બની છે. કોંગ્રેસએ આ બજેટને નિરાશાજનક ગણાવી સરકાર પર કટાક્ષ કર્યો છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ બજેટ બાદ પ્રહાર કરતા જણાવ્યું કે આ 'ડબલ એન્જિન” સરકાર મોંઘવારી અને ભ્રષ્ટાચાર વધારતી હોવાનો આ બજેટ પુરાવો આપે છે.
'બજેટમાં ખેડૂતોના દેવા માફ કરવાની કોઈ જાહેરાત કરવામાં આવી નથી'
અમિત ચાવડાએ આક્ષેપ કર્યો કે વર્ષ 2027ના બજેટમાં વર્ષ 2047ના સપનાઓ બતાવવામાં આવ્યા છે, પરંતુ વર્તમાન સમયની સમસ્યાઓનો ઉકેલ આપવામાં આવ્યો નથી. તેમણે કહ્યું કે ખેડૂતો માટે સૌથી મહત્વપૂર્ણ મુદ્દો દેવામાફીનો હતો, પરંતુ બજેટમાં ખેડૂતોના દેવા માફ કરવાની કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
'વર્ષ 2027ના બજેટમાં 2047ના સપના બતાવાયા'
તેમણે વધુમાં ઉમેર્યું કે પાક વીમા યોજનાને લઈને ખેડૂતો લાંબા સમયથી માંગ કરી રહ્યા છે, છતાં બજેટમાં તેમની માંગ સંતોષાઈ નથી. ખેડૂતો આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યા છે ત્યારે તેમને તાત્કાલિક રાહત આપવાની જરૂર હતી, પરંતુ બજેટમાં તે અંગે સ્પષ્ટતા કરવામાં આવી નથી. કોંગ્રેસે આ બજેટને વાસ્તવિક સમસ્યાઓથી દૂર ગણાવીને કહ્યું કે સરકાર ભવિષ્યના વિઝન બતાવે છે, પરંતુ હાલના પ્રશ્નો માટે કોઈ ઠોસ ઉકેલ આપતી નથી.




















