ગુજરાતના વર્ષ 2026-27ના બજેટ પહેલાં રાજકીય પ્રતિસાદો સામે આવી રહ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ બજેટ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ સતત વિકાસના માર્ગે આગળ વધી રહ્યો છે અને તે જ દિશામાં ગુજરાત પણ આગળ વધે તે માટેનું આ બજેટ હશે.
'જનસુખાકારીને ધ્યાનમાં રાખીને ઉત્તમ અને વિકાસલક્ષી બજેટ...'
મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ જનસુખાકારીને ધ્યાનમાં રાખીને ઉત્તમ અને વિકાસલક્ષી બજેટ રજૂ કરશે. તેમણે વધુમાં ઉમેર્યું કે વિકસિત ભારતના સપનાને સાકાર કરવા વિકસિત ગુજરાતનું નિર્માણ અનિવાર્ય છે.
મંત્રી અર્જુન મોઢવાડીયાએ પણ બજેટ અંગે શું કહ્યું?
બીજી તરફ મંત્રી અર્જુન મોઢવાડીયાએ પણ બજેટ અંગે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે કનુ દેસાઈ ટૂંક સમયમાં બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે અને આ બજેટ 2047 સુધી વિકસિત ભારતના વિઝનને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. તેમના જણાવ્યા મુજબ કૃષિ, ઉત્પાદન ક્ષમતા, આરોગ્ય અને પર્યાવરણ જેવા મહત્વના ક્ષેત્રોને લાભ થાય તેવા પ્રાવધાનો આ બજેટમાં સામેલ હશે. મંત્રી અર્જુન મોઢવાડીયાએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ બજેટ માત્ર ગુજરાત માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે માર્ગદર્શનરૂપ સાબિત થશે. રાજ્ય સરકારનું લક્ષ્ય વિકાસની ગતિ વધુ તેજ કરવાની સાથે સામાન્ય નાગરિકોના જીવનમાં સુધારો લાવવાનો છે.




















