ઉનાળાની કાળઝાળ ગરમીમાં જે ફળની સૌથી વધુ ડિમાન્ડ રહે છે તે છે 'તરબૂચ'. માર્કેટમાં ગરમીની શરૂઆત થતા જ તરબૂચનું વેચાણ રોકેટ ગતિએ વધવા લાગે છે. ભારતભરમાં હવે રવિ પાકની લણણીનો સમય નજીક છે, ત્યારે ખેડૂતો પાસે ઉનાળુ પાક (Zaid Crop) તરીકે તરબૂચ વાવીને ટૂંકા સમયમાં લાખો રૂપિયા કમાવવાની ઉત્તમ તક છે. તરબૂચ એક એવો પાક છે જેમાં ખર્ચ ઓછો છે અને વળતર અનેકગણું છે. જો તમારી પાસે સિંચાઈની સુવિધા અને ફળદ્રુપ જમીન હોય, તો માત્ર 120 દિવસની અંદર તમે ખેતીમાંથી જંગી આવક મેળવી શકો છો. ચાલો જાણીએ આધુનિક પદ્ધતિથી તરબૂચની ખેતી કેવી રીતે કરવી અને કેવી રીતે લાખોની કમાણી કરવી.
કેવી જમીન અને તાપમાન છે અનુકૂળ?
તરબૂચની ખેતી માટે મધ્યમ કાળી, રેતાળ કે ગોરાડુ જમીન ઉત્તમ માનવામાં આવે છે. મુખ્ય વાત એ છે કે જમીનમાં પાણી ભરાઈ રહેવું જોઈએ નહીં (Water-logging free).
PH લેવલ: માટીનું સ્તર 5.5 થી 7 ની વચ્ચે હોવું જોઈએ.
તાપમાન: આ પાકને ગરમ અને શુષ્ક હવામાન વધુ માફક આવે છે. 24°C થી 27°C વચ્ચેનું તાપમાન પાકના વિકાસ માટે સર્વોત્તમ છે.
વાવણીનો સાચો સમય કયો?
તરબૂચની વાવણી વિસ્તાર મુજબ બદલાય છે.
પશ્ચિમ ભારત (ગુજરાત): નવેમ્બરથી જાન્યુઆરીના અંત સુધી વાવણી કરી શકાય છે.
ઉત્તર ભારત: ફેબ્રુઆરી અને માર્ચ મહિનો વાવણી માટે શ્રેષ્ઠ છે.
જ્યાં વધુ ઠંડી પડતી નથી, ત્યાં આખું વર્ષ પણ આ પાક લઈ શકાય છે.
વધુ ઉત્પાદન આપતી સુધારેલી જાતો
ઓછા સમયમાં વધુ ઉત્પાદન અને મીઠાં ફળ મેળવવા માટે ખેડૂતોએ નીચેની જાતો પસંદ કરવી જોઈએ:
શુગર બેબી: લોકપ્રિય અને અત્યંત મીઠી જાત.
અરકા જ્યોતિ: રોગપ્રતિકારક શક્તિ વધુ અને ફળ કદમાં મોટા.
પુસા બેદાણા: બીજ વગરની જાત, જેની માર્કેટમાં ઊંચી કિંમત મળે છે.
ખાતર અને સિંચાઈ વ્યવસ્થાપન
ખાતર: જમીન તૈયાર કરતી વખતે પ્રતિ હેક્ટર 20-25 ટ્રોલી છાણીયું ખાતર નાખવું જોઈએ. આ ઉપરાંત નાઈટ્રોજન, ફોસ્ફેટ અને પોટાશનો સપ્રમાણ ઉપયોગ કરવો. વાવણીના 25-30 દિવસ બાદ બાકીનું નાઈટ્રોજન આપવાથી વેલાનો વિકાસ ઝડપી થાય છે.
સિંચાઈ: વાવણી બાદ 10-15 દિવસે પિયત આપવું. જો નદીના પટમાં ખેતી કરતા હોવ તો ભેજને કારણે સિંચાઈની ઓછી જરૂર પડે છે. ડ્રીપ ઇરીગેશન (ટપક પદ્ધતિ) અપનાવવાથી ફળની ગુણવત્તા વધે છે.
જીવાતો અને રોગોથી રક્ષણ
તરબૂચમાં મુખ્યત્વે પાંદડા પર સફેદ ફૂગ (Powdery Mildew) જોવા મળે છે. તેને અટકાવવા માટે 90 લીટર પાણીમાં 10 લીટર ડીનોકેપ અથવા કાર્બેન્ડાઝીમ મિક્સ કરી દર 15 દિવસે છંટકાવ કરવો જોઈએ. સમયસર દવાનો ઉપયોગ પાકને બરબાદ થતો બચાવે છે.
લણણી અને કમાણીનું ગણિત
સમયગાળો: વાવણીના અંદાજે 90 થી 110 દિવસમાં ફળ તૈયાર થઈ જાય છે.
ખર્ચ: એક વીઘા દીઠ અંદાજે રૂ.10,000 થી રૂ.12,000 નો ખર્ચ થાય છે.
નફો: એક વીઘામાંથી ખેડૂત આરામથી રૂ.80,000 થી રૂ.90,000 ની આવક મેળવી શકે છે.
જો તમે 3 વીઘામાં આયોજનબદ્ધ ખેતી કરો, તો 4 મહિનાની સીઝનમાં તમામ ખર્ચ કાઢતા રૂ.9 લાખ સુધીની કમાણી થવાની પ્રબળ શક્યતા રહેલી છે.




















