રશિયાના બંધારણ મુજબ દેશ એક સેક્યુલર રાષ્ટ્ર છે એટલે કે ત્યાં કોઈ પણ ધર્મને રાજકીય માન્યતા નથી પરંતુ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અંગત જીવનમાં રશિયન ઓર્થોડોક્સ ક્રિશ્ચિયાનિટી સંપ્રદાયનું પાલન કરે છે. રાષ્ટ્રપતિ પુતિનની ધાર્મિક આસ્થા ઘણીવાર જાહેરમાં જોવા મળે છે કારણ કે તેઓ નિયમિતપણે ચર્ચની મુલાકાત લે છે અને પ્રાર્થના સભાઓમાં હાજરી આપે છે.
એવી માહિતી પણ સામે આવી છે કે પુતિનના માતા ખ્રિસ્તી ધર્મને ચુસ્તપણે માનતા હતા અને તેમનો પ્રભાવ પુતિન પર પણ જોવા મળે છે. વ્લાદિમીર પુતિન હંમેશા પોતાના ગળામાં ક્રોસની ચેઈન પહેરી રાખે છે જે તેમની ખ્રિસ્તી ધર્મ પ્રત્યેની શ્રદ્ધા અને સમર્પણ દર્શાવે છે. આ બાબત સાબિત કરે છે કે બંધારણીય રીતે દેશ ભલે ગમે તે વિચારધારા ધરાવતો હોય પણ પુતિન વ્યક્તિગત રીતે ધાર્મિક છે.
વર્ષ 2007 દરમિયાન એક મીડિયા ઈન્ટરવ્યુમાં જ્યારે પુતિનને પૂછવામાં આવ્યું હતું કે શું તેઓ ઈશ્વરના અસ્તિત્વમાં માને છે ત્યારે તેમણે કોઈ સીધો જવાબ આપ્યો ન હતો. તેમણે ભગવાનમાં શ્રદ્ધા હોવા અંગે હા કે ના કહેવાનું ટાળ્યું હતું. આ ઉપરાંત જ્યારે તેમને સુપ્રીમ પાવર એટલે કે સર્વોચ્ચ શક્તિ વિશે પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે પણ તેમણે મૌન સેવ્યું હતું અને કોઈ સ્પષ્ટતા કરી ન હતી.
રશિયાની વસ્તીમાં ધાર્મિક વિવિધતા જોવા મળે છે. ત્યાં વસતા ખ્રિસ્તી સમુદાયમાં મુખ્યત્વે કેથલિક અને પ્રોટેસ્ટન્ટ તેમજ ઓર્થોડોક્સ એમ ત્રણ વર્ગ જોવા મળે છે. આંકડાકીય માહિતી મુજબ રશિયાની અડધાથી વધુ વસ્તી રશિયન ઓર્થોડોક્સ વિચારધારામાં માને છે અને રાષ્ટ્રપતિ પુતિન પણ આ જ બહુમતી ધરાવતા સંપ્રદાય સાથે જોડાયેલા છે.





















