પૂર્વ ધારાસભ્ય વિરજી ઠુંમર દ્વારા ગુજરાતમાં દૂધ, પનીર અને ઘીમાં ભેળસેળ મુદ્દે ગંભીર ચિંતા વ્યક્ત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખવામાં આવ્યો છે.
પત્રમાં તેમણે જણાવ્યું છે કે રાજ્યમાં દૂધ, પનીર, ઘી અને મીઠાઈઓમાં ભેળસેળની ઘટનાઓ વધતી જઈ રહી હોવાની માહિતી મળી રહી છે. ખાસ કરીને અમદાવાદ, સુરત સહિતના શહેરોમાં ભેળસેળ યુક્ત પનીર અને અન્ય દૂધજન્ય ઉત્પાદનો વેચાતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
વિરજી ઠુંમરે માંગ કરી છે કે રાજ્યમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અંગે કડક તપાસ હાથ ધરવામાં આવે અને જવાબદાર વેપારીઓ સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવે.
આરોગ્ય પર ગંભીર અસરની આશંકા
પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભેળસેળ યુક્ત ખાદ્ય પદાર્થોના કારણે લોકોના આરોગ્ય પર ગંભીર અસર થઈ રહી છે અને કેન્સર જેવા રોગોના જોખમમાં વધારો થવાની ભીતિ છે.
તેમણે ફૂડ વિભાગ અને સંબંધિત સત્તાધિકારીઓની ભૂમિકા અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા છે અને રાજ્યવ્યાપી ડ્રાઈવ ચલાવી મીઠાઈની દુકાનો અને દૂધ ઉત્પાદકોની તપાસ કરવાની માંગ કરી છે. પત્રની નકલ રાજ્યના સંબંધિત મંત્રીઓ અને અધિકારીઓને પણ મોકલવામાં આવી હોવાનું જાણવા મળે છે.



















