ઘણીવાર આપણે શહેરોમાં વસવાટ કરતા લોકોના મોઢે સાંભળતા આવ્યા છીએ કે ગામડાઓમાં રહેવાની કેવી મજા આવે, ગામડાના લોકો કેવા નિરાંતે રહેતા હોય છે. કાશ ખેતી કરતા હોત, અને એ સાંજે ગામની પાદરમાં મિત્રો સાથે બેસીને સુખદુખની વાતો કરતા હોઈએ. કોઈ જ ટેન્શન નહીં, એ મસ્ત મજાની લાઈફ... પરંતુ હવે સમય બદલાતો જોવા મળ્યો છે. શહેરોનું ટેન્શન ગામડાઓમાં ઘૂસી ગયું છે.
અગાઉ ઘણીવાર એવું કહેવાતું હતું કે શહેરના લોકો માનસિક તણાવમાં રહે છે. પરંતુ હવે એવું નથી, હવે ગામડાના લોકો પણ ટેન્શનમાં આવી ગયા છે. ગામડામાં રહેતા લોકોમાં ટેન્શનનું મુખ્ય કારણ બેરોજગારી અને આર્થિક તંગી છે, જેની સામે શહેરમાં ટેન્શનનું કારણ ખર્ચનું ભારણ, પગારનો અભાવ અને સારી નોકરી કે કોલેજમાં એડમિશન ન મળવું છે. ટેન્શન કહો કે સ્ટ્રેસ, નામ ભલે જુદું હોય પણ કામ તો એક જ છે માણસના મનને સંપૂર્ણ રીતે યાતના આપવાનું. ટેન્શન વ્યક્તિને માનસિક રીતે સંપૂર્ણ રીતે નબળા બનાવે છે. આ એક એવો રોગ છે જે કોઈ કારણથી થતો નથી. કારણ કે જે વસ્તુ પર ટેન્શન લેવામાં આવ્યું છે તેનું જ ટેન્શન હશે.તેથી જ વધુ પડતું વિચારનારા લોકો ટેન્શનમાં રહે છે. આના ઘણા કારણો હોઈ શકે છે, જેમાંથી કેટલાક મુખ્ય કારણો પર નજર કરીએ.
ગામડાનો લોકો કેમ તણાવમાં?
1. આર્થિક તંગી- ગામડાઓમાં નાણાકીય સમસ્યા ટેન્શન માટેનું એક મોટું કારણ હોય છે જેનાથી લોકો તણાવમાં મૂકાય છે. ગામડાઓમાં રહેતા લોકો પાસે આવકના સ્ત્રોક ખૂબ જ મર્યાદિત હોય છે, જેથી તેમની આર્થિક સ્થિતિ કથળતી જાય છે. આ કારણે તે તણાવ સાથે સંઘર્ષ કરે છે.
2. ખેતીની કાયમી ચિંતા- ગામડાના લોકો તેમની ખેતી અને પાક માટે સૌથી વધુ ચિંતિત રહે છે, અને કેમ ના રહે, કારણ કે એક પાકને તૈયાર થતા ઓછામાં ઓછો 6 થી 8 મહિનાનો સમય લાગે છે.જ્યારે પણ પાક લણવાનો સમય આવે છે ત્યારે વરસાદ, ઠંડી અને ક્યારેક ગરમી ખેડૂતોની ઊંઘ હરામ કરી દે છે. પાક નિષ્ફળ જવાની ચિંતા ખેડૂતોને તણાવમાં મૂકે છે. આ જ કારણ છે કે આપણે દરરોજ ખેડૂતોની આત્મહત્યાના કિસ્સાઓ સાંભળતા અને વાંચતા રહીએ છીએ.
3. શિક્ષણના ઓછા વિકલ્પો- ગામડાઓમાં શિક્ષણના ઓછા વિકલ્પ પણ લોકોને તણાવમાં મૂકવા માટેનું મોટુ કારણ છે. ગામડાઓમાં ખરી સમસ્યા એક શિક્ષણની અને બીજી રોજગારીની છે, ગ્રામજનોને લાગે છે કે તેઓએ તેમના જીવનમાં જે મહેનત કરી છે તેનું મૂલ્ય નથી. તેમના બાળકોએ આટલી મહેનત ન કરવી જોઈએ, પરંતુ ભણીને આગળ વધવું જોઈએ. જો ભણાવવામાટે સારી શાળાઓ ન હોય અને કામ કરવા માટે કંપનીઓ ન હોય તો તણાવ થવો સ્વાભાવિક છે.
તણાવનો સામનો કેવી રીતે કરવો?
1. વ્યાયામ અને યોગ: કસરત અને યોગ કરવાથી તણાવ ઓછો થઈ શકે છે.
2. મેડિટેશન: તણાવ ઘટાડી શકે છે.
3. સામાજિક બનો: સામાજિક હોવું એટલે લોકોને મળવું. લોકોનો સહયોગ મળવાથી તણાવ ઓછો થઈ શકે છે.




















