બનાસકાંઠા જિલ્લામાં ઠાકોર સમાજના બંધારણના ઉલ્લંઘનના મુદ્દે ગબ્બર ઠાકોર તથા તેમના પરિવારને સમાજ બહાર કરવાનો વિવાદ હાલ ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. આ વિવાદ વચ્ચે ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર વિક્રમ ઠાકોર ખુલ્લેઆમ ગબ્બર ઠાકોરના સમર્થનમાં સામે આવ્યા છે. વિક્રમ ઠાકોરે જણાવ્યું હતું કે આ મુદ્દા અંગે ગાંધીનગર ખાતે યોજાયેલા ઠાકોર સમાજના મહાસંમેલનમાં તેમણે ગેનીબેન સમક્ષ પોતાની વાત રજૂ કરી હતી, પરંતુ ગેનીબેન દ્વારા આ વાત સ્વીકારવામાં આવી ન હતી.
'ડીજે મુદ્દે ઠાકોર સમાજમાં મોટી ગેરસમજ ફેલાઈ છે'
વિક્રમ ઠાકોરે વધુમાં જણાવ્યું કે સમાજના બંધારણમાં ડીજે બંધ કરવાનો નિયમ લાવવામાં સૌથી પહેલા આગળ આવનાર ગેનીબેન જ હતા. તેમણે સ્પષ્ટ કર્યું કે ડીજે મુદ્દે ઠાકોર સમાજમાં મોટી ગેરસમજ ફેલાઈ છે. તેમના જણાવ્યા અનુસાર, સમગ્ર સમાજમાં 10,000થી વધુ ડીજે સંચાલકો એવા છે, જે પોતાની રોજી-રોટી આ વ્યવસાય પરથી ચલાવે છે. ડીજે પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવે તો અનેક પરિવારોની આવક પર સીધી અને ગંભીર અસર પડશે.
વિક્રમ ઠાકોરે સમાજને કરી અપીલ
વિક્રમ ઠાકોરે જણાવ્યું કે તેઓ માત્ર ગબ્બર ઠાકોરના જ નહીં, પરંતુ તમામ ડીજે સંચાલકો અને ડીજે સાથે જોડાયેલા કલાકારોના હિતમાં અવાજ ઉઠાવી રહ્યા છે. તેમણે સમાજના આગેવાનોને અપીલ કરી કે કોઈ પણ નિર્ણય લેતા પહેલા રોજગાર, પરિવાર અને સમાજના વ્યાપક હિતને ધ્યાનમાં રાખવો જોઈએ. આ સમગ્ર મામલે હવે સમાજના આગેવાનો આગળ શું નિર્ણય લે છે તે અંગે સૌની નજર મંડાયેલી છે.




















