Thalapathy Vijay: તમિલનાડુના નવા મુખ્યમંત્રી બનેલા થલાપતિ વિજયે સત્તા સંભાળ્યા બાદ માત્ર 48 કલાકની અંદર જ એવા નિર્ણયો લેવા શરૂ કર્યા છે, જે રાજકીય અને ફિલ્મી વર્તુળોમાં ચર્ચાનો વિષય બની ગયા છે. પહેલા દારૂની દુકાનો બંધ કરવાનો નિર્ણય અને હવે ત્રિશા કૃષ્ણન તથા સૂર્યાની બહુચર્ચિત ફિલ્મ 'કરુપ્પુ'ના સ્પેશિયલ મોર્નિંગ શોને મંજૂરી-વિજયના ઝડપી નિર્ણયો તેમના પ્રશાસનિક અંદાજને દર્શાવે છે.
થલાપતિ વિજયે બુધવારે વિધાનસભામાં 144 ધારાસભ્યોના સમર્થન સાથે બહુમતી સાબિત કરી દીધી હતી. 10 મેના રોજ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ તેઓ સતત સક્રિય જોવા મળી રહ્યા છે. રાજકારણમાં પ્રવેશ પછી વિજયની કાર્યશૈલી પર સૌની નજર હતી, અને હવે તેમના શરૂઆતના નિર્ણયો રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યા છે.
વિજયે મુખ્યમંત્રી પદ સંભાળ્યા બાદ સૌથી પહેલા રાજ્યમાં 717 દારૂની દુકાનો બંધ કરવાનો નિર્ણય લીધો હતો. આ પગલાને સામાજિક સંગઠનો અને સામાન્ય જનતાની તરફથી વ્યાપક સમર્થન મળ્યું હતું. હવે તેમણે તમિલ ફિલ્મ ઉદ્યોગને સીધો લાભ થાય એવો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
ત્રણ વર્ષ પછી મોર્નિંગ શોને મળી મંજૂરી
તમિલનાડુમાં છેલ્લા ત્રણ વર્ષથી સવારના ખાસ ફિલ્મ શો માટે કડક નિયમો લાગુ હતા. મોટા સ્ટાર્સની ફિલ્મો માટે વહેલી સવારે ફર્સ્ટ ડે ફર્સ્ટ શો યોજવાની પરંપરા હોવા છતાં, સરકારે અગાઉ અનેક નિયંત્રણો મૂક્યા હતા. હવે વિજય સરકાર દ્વારા ‘કરપ્પુ’ ફિલ્મને સવારે 9 વાગ્યાના ખાસ શોની મંજૂરી આપવામાં આવી છે.
આ નિર્ણય ખાસ કરીને ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે રાહતરૂપ માનવામાં આવી રહ્યો છે. મોટા સ્ટાર્સની ફિલ્મો માટે મોર્નિંગ શોનું મહત્વ ઘણું હોય છે, કારણ કે તે ફેન કલ્ચર, બોક્સ ઓફિસ ઓપનિંગ અને સોશિયલ મીડિયા હાઇપ સાથે સીધો જોડાયેલો હોય છે.
ત્રિશા કૃષ્ણન અને સૂર્યા અભિનીત ફિલ્મ ‘કરુપ્પુ’ 14 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. રિલીઝ પહેલા મળેલી આ ખાસ મંજૂરીથી ફિલ્મના પ્રારંભિક કલેક્શન અને ચર્ચામાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
‘કરુપ્પુ’ ટીમે વ્યક્ત કર્યો આભાર
ફિલ્મના પ્રોડક્શન હાઉસે સોશિયલ મીડિયા પર મુખ્યમંત્રી વિજયનો આભાર વ્યક્ત કર્યો હતો. પોસ્ટમાં વિજયનો ફોટો શેર કરીને લખવામાં આવ્યું કે:
“ કરુપ્પુના સવારે 9 વાગ્યાના ખાસ શોને મંજૂરી આપવા બદલ માનનીય મુખ્યમંત્રી શ્રી જોસેફ વિજયનો દિલથી આભાર. 14 મેના રોજ સવારે 9 વાગ્યે FDFS શરૂ થશે.”
આ પોસ્ટ બાદ સોશિયલ મીડિયા પર વિજયના સમર્થકો અને ફિલ્મપ્રેમીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ઘણા યુઝર્સે આ નિર્ણયને “ફિલ્મ ઇન્ડસ્ટ્રી ફ્રેન્ડલી” ગણાવ્યો હતો.
સૂર્યાએ પણ આપી હતી શુભેચ્છા
ફિલ્મના મુખ્ય અભિનેતા સૂર્યાએ અગાઉ વિજયના મુખ્યમંત્રી બનવા પર તેમને અભિનંદન પાઠવ્યા હતા. સોશિયલ મીડિયા પોસ્ટમાં સૂર્યાએ લખ્યું હતું કે:
“લોકોનો પ્રેમ અને વિશ્વાસ મેળવવો એ આશીર્વાદ સમાન છે. તમિલનાડુને મારા મિત્ર વિજય પર પૂર્ણ વિશ્વાસ છે. રાજ્યના રાજકારણમાં નવા અધ્યાયની શરૂઆત કરવા બદલ તેમને દિલથી શુભેચ્છા.”
સૂર્યા અને વિજય વચ્ચેની મિત્રતા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જાણીતી છે. તેથી કરુપ્પુ ને મળેલી આ મંજૂરીને લઈને સોશિયલ મીડિયા પર વધુ ચર્ચા થઈ રહી છે.
શપથ ગ્રહણ સમારોહમાં ત્રિશા બની હતી ચર્ચાનો કેન્દ્ર
વિજયના શપથ ગ્રહણ સમારોહમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અનેક જાણીતી હસ્તીઓ હાજર રહી હતી. તેમાં અભિનેત્રી ત્રિશા કૃષ્ણન પણ સામેલ હતી. સમારોહના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.
ખાસ કરીને એક વીડિયોમાં ત્રિશા વિજયના પરિવાર સાથે ઉષ્માભરી વાતચીત કરતી જોવા મળી હતી. બીજી તરફ, વિજયના ભાષણ દરમિયાન ત્રિશા ભાવુક થઈ ગઈ હોવાના દૃશ્યો પણ સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં રહ્યા હતા.
ફેન્સે આ ક્ષણોને ખૂબ પસંદ કરી હતી અને અનેક ક્લિપ્સ વાયરલ થઈ હતી. ત્રિશાની હાજરીએ સમારોહને ફિલ્મી ટચ આપ્યો હોવાનું પણ ચર્ચાયું હતું.
કેમ મહત્વનો છે વિજયનો આ નિર્ણય?
વિજયનો આ નિર્ણય માત્ર એક ફિલ્મ માટેની પરવાનગી નથી, પરંતુ તેને તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રી પ્રત્યેના સકારાત્મક સંકેત તરીકે પણ જોવામાં આવી રહ્યો છે. તમિલનાડુમાં ફિલ્મ અને રાજકારણ વચ્ચે લાંબા સમયથી ગાઢ સંબંધ રહ્યો છે. એમજીઆર, કરુણાનિધિ, જયલલિતા અને હવે વિજય જેવા ઘણા મોટા નામોએ ફિલ્મોથી રાજકારણ સુધીની સફર કરી છે.
વિજય પોતે પણ સુપરસ્ટાર તરીકે વિશાળ ફેનબેઝ ધરાવે છે. તેથી તેમની સરકાર ફિલ્મ ઉદ્યોગ માટે કેવી નીતિઓ અપનાવે છે, તેની ઉપર સમગ્ર દક્ષિણ ભારતીય સિનેમા જગતની નજર છે.
ફિલ્મ વિશ્લેષકોનું માનવું છે કે જો આવી મંજૂરીઓ ફરી નિયમિત બનશે, તો મોટા બજેટની ફિલ્મોને શરૂઆતના દિવસોમાં વધુ ફાયદો મળી શકે છે.
આ પણ વાંચો: 155 મિનિટની પાવરફુલ એક્શન થ્રિલર : ક્લાઇમેક્સ જોઈને ફાટી જશે આંખો! જાણો કેમ બની રહી છે ફરી ચર્ચાનો વિષય
હવે આગળ શું?
વિજય સરકારના આગામી નિર્ણયો પર સૌની નજર ટકેલી છે. શરૂઆતના દિવસોમાં લીધેલા ઝડપી અને ચર્ચાસ્પદ પગલાંઓએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ સક્રિય અને આક્રમક શાસન શૈલી અપનાવવા માંગે છે.
એક તરફ સામાજિક મુદ્દાઓ પર નિર્ણય લેવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને પણ પ્રોત્સાહન આપતા પગલાં લેવામાં આવી રહ્યા છે. ‘કરપ્પુ’ને મળેલી ખાસ મંજૂરી હવે બોક્સ ઓફિસ પર કેટલો ફાયદો પહોંચાડે છે, તે જોવું રસપ્રદ રહેશે.





