Actor Kalyan Chatterjee: પશ્ચિમ બંગાળ મોશન પિક્ચર આર્ટિસ્ટ ફોરમે સત્તાવાર પુષ્ટિ કરી છે કે, પ્રખ્યાત બંગાળી તથા હિન્દી ફિલ્મોના પીઢ અભિનેતા કલ્યાણ ચેટર્જીનું રવિવારે રાત્રે કોલકાતાની એમઆર બાંગુર હોસ્પિટલમાં 81 વર્ષની વયે અવસાન થયું છે. લાંબા સમયથી ટાઇફોઇડ તેમજ વયજન્ય અનેક બીમારીઓથી પીડિત રહેલા આ દિગ્ગજ કલાકારના નિધનથી બંગાળી સિનેમા સહિત સમગ્ર ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં શોકનું મોટું વાતાવરણ છવાઈ ગયું છે.
છ દાયકાની ચમકતી કારકિર્દી
પુણે ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાંથી તાલીમ લીધા બાદ કલ્યાણ ચેટર્જીએ 1968માં “અપંજન” ફિલ્મથી કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ લગભગ 400થી વધુ બંગાળી અને હિન્દી ફિલ્મોમાં તેમણે સહાયક તેમજ મહત્વની ભૂમિકાઓ ભજવી પોતાની અલગ ઓળખ બનાવી.સત્યજિત રેની “પ્રતિદ્વંદ્વી”માં મુખ્ય ભૂમિકા સહિત “ધન્યી મેયે”, “દુઈ પૃથિબી”, “સબુજ દ્વીપેર રાજા”, “બૈશે શ્રાબણ” જેવી અનેક કાલાતીત ફિલ્મોમાં તેમના અભિનયે દર્શકો તેમજ સમીક્ષકોના દિલ જીત્યા હતા. નાનીથી નાની ભૂમિકામાં પણ તેઓ પોતાની છાપ છોડી જતા, જેનું સૌથી મોટું ઉદાહરણ બોલિવૂડમાં પણ તેમને મળેલો આદર અને પ્રેમ છે.
ફિલ્મ જગતમાં શૂન્યતા
પશ્ચિમ બંગાળ મોશન પિક્ચર આર્ટિસ્ટ ફોરમે શોકસંદેશમાં જણાવ્યું હતું કે, “અમારા સૌથી પ્રિય સભ્યોમાંના એક હવે આ દુનિયામાં નથી. કલ્યાણબાબુના નિધનથી એક એવી શૂન્યતા સર્જાઈ છે જે કદી ભરાશે નહીં.”બંગાળી સિનેમા માટે આ નુકસાન અપૂરણીય છે. કલ્યાણ ચેટર્જીનો વારસો આવનારી પેઢીઓને સતત પ્રેરણા આપતો રહેશે.




















