સામાન્ય રીતે આપણે ઘરની સાફ-સફાઈ પર તો ધ્યાન આપીએ છીએ, પરંતુ કચરો એકઠો કરવા માટે વપરાતી કચરાપેટી એટલે કે ડસ્ટબિનને ગમે ત્યાં મૂકી દેતા હોઈએ છીએ. વાસ્તુ શાસ્ત્રના મતે કચરાપેટી એ નકારાત્મક ઉર્જાનો સ્ત્રોત છે. જો તેને ખોટી દિશામાં રાખવામાં આવે તો તે ઘરના સભ્યોના માનસિક સ્વાસ્થ્ય, આર્થિક ઉન્નતિ અને પરસ્પર સંબંધો પર ગંભીર અસર કરી શકે છે.
આ દિશાઓમાં ભૂલથી પણ ન રાખશો કચરાપેટી
વાસ્તુ નિયમો અનુસાર ઘરના ઉત્તર-પૂર્વ (ઈશાન) ખૂણામાં કચરાપેટી ક્યારેય ન રાખવી જોઈએ. આ દિશા અત્યંત પવિત્ર માનવામાં આવે છે અને અહીં ડસ્ટબિન રાખવાથી માનસિક તણાવ વધવાની શક્યતા રહે છે. તેવી જ રીતે ઘરના પૂર્વ ભાગમાં કચરાપેટી રાખવાથી પ્રગતિના માર્ગમાં અવરોધો આવે છે અને વ્યક્તિ સામાજિક રીતે એકલતા અનુભવી શકે છે. જો તમારા પરિવારના સભ્યો કે ઓફિસમાં સાથીદારો સાથેના સંબંધો વણસી રહ્યા હોય, તો તપાસો કે તમારી કચરાપેટી દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં તો નથી ને?
કઈ દિશા છે સૌથી શ્રેષ્ઠ?
ઘરમાં કચરાપેટી રાખવા માટે દક્ષિણ-પશ્ચિમ અથવા દક્ષિણ-પૂર્વના પૂર્વ ભાગને યોગ્ય માનવામાં આવે છે. આ સિવાય ઉત્તર-પશ્ચિમના પશ્ચિમ ભાગમાં પણ ડસ્ટબિન રાખી શકાય છે. વાસ્તુ મુજબ કચરાપેટી માટે હંમેશા હળવા રંગોની પસંદગી કરવી જોઈએ જેથી તેની નકારાત્મકતા ઓછી કરી શકાય.
પ્રવેશદ્વાર અને બેડરૂમમાં રાખવાનું ટાળો
ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર કચરાપેટી રાખવી એ સૌથી મોટી ભૂલ છે. તે ઘરમાં આવતી સકારાત્મક ઉર્જાને રોકે છે અને ગરીબીને આમંત્રણ આપે છે. આ ઉપરાંત પૂજાઘરની આસપાસ કે બેડરૂમમાં પણ કચરાપેટી ન રાખવી જોઈએ. બેડરૂમમાં ડસ્ટબિન રાખવાથી ઊંઘમાં વિક્ષેપ પડે છે અને દંપતી વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી શકે છે.
આટલી બાબતોનું ખાસ રાખો ધ્યાન
ડસ્ટબિન હંમેશા ઢાંકણવાળું હોવું જોઈએ જેથી કચરો બહાર ન દેખાય.
કચરાપેટીની દરરોજ સફાઈ થવી જોઈએ, તેમાં કચરો સડવો ન જોઈએ.
જો કચરાપેટી તૂટી ગઈ હોય અથવા તેમાં તિરાડ પડી હોય તો તેને તાત્કાલિક બદલી નાખવી જોઈએ.
તૂટેલી કચરાપેટી ઘરમાં રાખવી એ અશુભ માનવામાં આવે છે.





















