ઘરનો બેડરૂમ એ એક એવું સ્થાન છે જ્યાં દિવસભરના થાક પછી આપણને શાંતિ અને સુકૂન મળે છે. જોકે, વાસ્તુશાસ્ત્ર અનુસાર જો બેડરૂમમાં વસ્તુઓની ગોઠવણી યોગ્ય ન હોય તો તે નકારાત્મક ઊર્જાનું કેન્દ્ર બની શકે છે. યોગ્ય દિશા અને સ્થાનની સમજ અનિદ્રા, રોગ અને માનસિક અશાંતિને દૂર રાખવામાં મદદરૂપ સાબિત થાય છે.
પલંગ અને દિવાલ સાથે જોડાયેલા નિયમો
વાસ્તુ વિજ્ઞાન મુજબ બેડની પાછળની દીવાલ પર કોઈ પણ પ્રકારના ઇલેક્ટ્રિક મીટર, જનરેટર કે ભારે ઇલેક્ટ્રોનિક ઉપકરણો ન હોવા જોઈએ. માનવામાં આવે છે કે આવી વસ્તુઓ સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર કરે છે. આ ઉપરાંત પલંગની પાછળની દીવાલની બીજી તરફ ગટર લાઇન કે રસોડું હોવું પણ અશુભ મનાય છે. ખાસ કરીને માથાના ભાગ તરફ સ્ટવ કે રસોડાની હાજરી જીવનમાં અશાંતિ લાવી શકે છે.
દરવાજા અને બેડની સ્થિતિ
બેડરૂમના મુખ્ય દરવાજાની બિલકુલ સામે પલંગ રાખવાનું ટાળવું જોઈએ. રૂમમાં પ્રવેશતી વખતે પલંગનો ખૂણો આડો આવે તે વાસ્તુ મુજબ યોગ્ય નથી. પલંગ એવી રીતે ગોઠવવો જોઈએ કે દરવાજાની સામેનો થોડો ભાગ ખાલી રહે, જેથી રૂમમાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ જળવાઈ રહે.
અરીસાની ગોઠવણીમાં રાખો સાવધાની
બેડરૂમમાં અરીસો હોવો ખોટું નથી પરંતુ તેનું સ્થાન મહત્વનું છે. પલંગની બિલકુલ સામે અરીસો ક્યારેય ન લગાવો. એવી માન્યતા છે કે સૂતી વખતે શરીરનું જે અંગ અરીસામાં દેખાય છે, તે અંગ સંબંધિત બીમારીઓ થવાની શક્યતા રહે છે. અરીસાને હંમેશા પૂર્વ કે ઉત્તર દિશાની દીવાલ પર લગાવવો જોઈએ અને તેમાં પલંગ દેખાવો જોઈએ નહીં.
સ્ટોરેજ અને અન્ય ટિપ્સ
બેડની નીચેની જગ્યા: પલંગની અંદર કે તેની નીચે ક્યારેય તૂટેલી વસ્તુઓ, જૂના પગરખાં કે દવાઓના બિલ ન રાખવા જોઈએ. આનાથી નકારાત્મકતા વધે છે.
રંગોની પસંદગી: બેડરૂમમાં હંમેશા હળવા અને શાંત પેસ્ટલ રંગોનો ઉપયોગ કરવો જોઈએ. કાળો કે ઘેરો વાદળી રંગ માનસિક તણાવ વધારી શકે છે.
તસવીરો: દંપતીએ પલંગની સામે પોતાની હસતી તસવીર લગાવવી જોઈએ. પિતૃઓની તસવીર બેડરૂમમાં લગાવવાને બદલે ઘરના અન્ય યોગ્ય સ્થાને રાખવી હિતાવહ છે.
દિશા: માસ્ટર બેડરૂમ માટે દક્ષિણ-પશ્ચિમ દિશા સૌથી ઉત્તમ માનવામાં આવે છે. જો રૂમમાં સ્ટડી ટેબલ હોય તો તેને ઉત્તર-પૂર્વ ખૂણામાં રાખવું જોઈએ.





















