કોઈપણ વ્યક્તિ જ્યારે પોતાના સપનાનું ઘર, ભવ્ય મંદિર કે વ્યવસાયિક ભવનનું નિર્માણ કરવા ઈચ્છતી હોય ત્યારે વાસ્તુ શાસ્ત્રના નિયમો મુજબ ભૂમિ પરીક્ષા કરવી અત્યંત આવશ્યક છે. પ્રાચીન સ્થાપત્ય ગ્રંથોમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે સ્થાપત્ય તૈયાર કરવાનું છે તે જમીનની પ્રકૃતિ, માટીની લાક્ષણિકતાઓ, આસપાસનું ભૌગોલિક વાતાવરણ અને પાયાના ખોદકામ વખતે પ્રાપ્ત થતી ચીજવસ્તુઓનું ઊંડાણપૂર્વક નિરીક્ષણ કરવું જોઈએ. માન્યતા છે કે યોગ્ય ભૂમિ પર કરવામાં આવેલું બાંધકામ પરિવારમાં સુખ, સમૃદ્ધિ અને માનસિક શાંતિ લાવે છે, જ્યારે દોષયુક્ત જમીન જીવનમાં અનેક અવરોધો ઊભા કરી શકે છે.
ભૂમિના પ્રકારો અને તેની વિશેષતાઓ
વાસ્તુ વિજ્ઞાનમાં જમીનને મુખ્યત્વે 4 શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવી છે. આ વર્ગીકરણનો ઉલ્લેખ કલ્પદ્રુમ ગ્રંથમાં પણ મળે છે.
1. બ્રાહ્મણી ભૂમિ: જે જમીનમાંથી અત્યંત આહલાદક સુગંધ આવતી હોય તેને બ્રાહ્મણી ભૂમિ કહેવાય છે. આ જમીનની માટી સામાન્ય રીતે સફેદ રંગની હોય છે અને તેના પર કુશ ઘાસ ઊગેલું જોવા મળે છે. આવી જમીન પવિત્રતા અને શાંતિનું પ્રતીક માનવામાં આવે છે.
2. ક્ષત્રિય ભૂમિ: જે ભૂમિની માટી રતાશ પડતી એટલે કે લાલ રંગની હોય અને ત્યાંથી રક્ત જેવી ગંધ આવતી હોય તેને ક્ષત્રિય ભૂમિ માનવામાં આવે છે. આ પ્રકારની જમીન સાહસ અને શૌર્ય સાથે જોડાયેલી ગણાય છે.
3. વૈશ્ય ભૂમિ: લીલાશ પડતી માટી ધરાવતી અને ધાન્ય કે અનાજ જેવી સોડમ ધરાવતી જમીનને વૈશ્ય ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. આ ભૂમિ આર્થિક પ્રગતિ અને વ્યાપારિક સફળતા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.
4. શૂદ્ર ભૂમિ: કાળા રંગની માટી અને મધ્ય જેવી તીવ્ર ગંધ ધરાવતી જમીનને શૂદ્ર ભૂમિ કહેવાય છે. સામાન્ય રીતે અહીં વિવિધ પ્રકારનું ઘાસ જોવા મળે છે.
નિવાસ માટે આસપાસનું પર્યાવરણ કેવું હોવું જોઈએ?
માત્ર માટી જ નહીં પરંતુ પ્લોટની આસપાસના લોકેશનની પણ અસર પડે છે. બૃહત્સંહિતમાં જણાવ્યા અનુસાર જો નિર્ધારિત જમીનની આસપાસ ઔષધીય છોડ, સુગંધિત વૃક્ષો અને કુદરતી હરિયાળી હોય તો તે જમીન નિવાસ માટે ઉત્તમ છે. તેનાથી રહેવાસીઓના સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર પડે છે. જો પ્લોટની નજીક વધુ પડતા કાંટાવાળા વૃક્ષો, ગંદકી કે દૂષિત પાણીનો જમાવડો હોય તો તેવી જગ્યાએ રહેણાંક બનાવવાનું ટાળવું જોઈએ.
જમીનની ગુણવત્તા ચકાસવાની પરંપરાગત પદ્ધતિઓ
વાસ્તુ નિષ્ણાતો જમીનની ક્ષમતા જાણવા માટે બે મુખ્ય પ્રયોગો સૂચવે છે:
માટી ભરાવો ટેસ્ટ: જમીનની મધ્યમાં 1 હાથ જેટલો ઊંડો અને પહોળો ખાડો ખોદીને તેમાંથી નીકળેલી માટી ફરીથી તે ખાડામાં ભરવી. જો ખાડો ભર્યા પછી માટી વધે તો તે જમીન અત્યંત શુભ છે. જો માટી સરખી થાય તો મધ્યમ અને જો માટી ઓછી પડે તો તે જમીનને અશુભ ગણવામાં આવે છે.
જળ સંગ્રહ ટેસ્ટ: ખાડામાં પાણી ભરીને 24 કલાક માટે મૂકી રાખવું. જો બીજા દિવસે પણ પાણીનું સ્તર જળવાઈ રહે તો તે પ્લોટ બાંધકામ માટે યોગ્ય છે, પરંતુ જો પાણી સાવ સુકાઈ જાય કે જમીનમાં તિરાડો પડે તો તે નકારાત્મક સંકેત છે.
ખોદકામમાં મળતા સંકેતોની અસરો
જ્યારે પાયાનું ખોદકામ કરવામાં આવે ત્યારે કેટલીક વસ્તુઓનું મળવું ભવિષ્યની સૂચક હોય છે. જો પૃથ્વીના પેટાળમાંથી શંખ, પથ્થર, ઈંટો, તાંબાના સિક્કા કે કાચબો મળી આવે તો તે મહાલક્ષ્મીના આગમન અને સમૃદ્ધિનો સંકેત આપે છે. તેનાથી વિપરીત જો ખોદકામમાં પ્રાણીઓના હાડકાં, કોલસો, લોખંડના ટુકડા કે સાપના ઈંડા જેવી વસ્તુઓ દેખાય તો વાસ્તુ દોષ નિવારણ કર્યા વગર આગળ વધવું જોખમી સાબિત થઈ શકે છે.
આમ, પ્રાચીન ગ્રંથોમાં વર્ણવેલી આ પદ્ધતિઓ માત્ર ધાર્મિક વિધિ નથી પરંતુ ભૂસ્તરશાસ્ત્ર અને પર્યાવરણને સમજવાનું એક વિજ્ઞાન છે.




















