Varanasi International Cricket Stadium : ભારતના સૌથી પવિત્ર શહેરોમાંના એક એવા વારાણસી (કાશી) માં હવે રમતગમતનો નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે. ગંજરીમાં બની રહેલું વારાણસી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ તેની અનોખી ડિઝાઇનને કારણે અત્યારે આખા વિશ્વમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. હાલમાં આ સ્ટેડિયમની 'ત્રિશૂલ' આકારની ફ્લડલાઇટ્સની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે, જેણે ક્રિકેટ પ્રેમીઓ અને શિવ ભક્તોમાં ભારે ઉત્સાહ જગાડ્યો છે.
ભગવાન શિવના પ્રતીકોનો અદભૂત ઉપયોગ
આ સ્ટેડિયમ માત્ર એક રમતનું મેદાન નથી, પણ વારાણસીની ઓળખ અને શ્રદ્ધાનું પ્રતિક છે. સ્ટેડિયમની આસપાસ લાગેલી ફ્લડલાઇટ્સને ભગવાન શિવના 'ત્રિશૂલ' જેવો આકાર આપવામાં આવ્યો છે. આ ઉપરાંત, સ્ટેડિયમની છત અર્ધચંદ્રાકાર છે, જે મહાદેવના મસ્તક પર બિરાજમાન ચંદ્રની યાદ અપાવે છે. મીડિયા સેન્ટરને 'ડમરુ' જેવો આકાર અપાયો છે અને પ્રવેશદ્વાર પર બિલીપત્રની આકૃતિઓ પણ જોવા મળશે.
સ્ટેડિયમની ક્ષમતા અને નિર્માણ
ઉત્તર પ્રદેશ સરકાર અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના સહયોગથી બની રહેલા આ સ્ટેડિયમનો અંદાજિત ખર્ચ ₹400 કરોડ છે. લાર્સન એન્ડ ટુબ્રો (L&T) દ્વારા નિર્મિત આ મેદાનમાં આશરે 30,000 પ્રેક્ષકો એકસાથે બેસીને મેચ નિહાળી શકશે. સ્ટેડિયમની બેઠક વ્યવસ્થા પણ એવી રીતે કરવામાં આવી છે કે, જે કાશીના પ્રખ્યાત ઘાટના પગથિયાં જેવી દેખાય છે.
કાશી અને મહાદેવનો અતૂટ સંબંધ
વારાણસીને ભગવાન શિવની નગરી માનવામાં આવે છે. પવિત્ર ગંગા નદીના કિનારે વસેલા આ શહેરમાં કાશી વિશ્વનાથ મંદિર કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર છે. આ જ પરંપરા અને સંસ્કૃતિને આધુનિક રમતગમત સાથે જોડવા માટે સ્ટેડિયમની ડિઝાઇનમાં શિવતત્ત્વનો સમાવેશ કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સપ્ટેમ્બર 2023 માં સચિન તેંડુલકર જેવા દિગ્ગજોની હાજરીમાં આ સ્ટેડિયમનું ભૂમિપૂજન કર્યું હતું.
ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય મેચોનું કેન્દ્ર
આ સ્ટેડિયમ 2026 ની શરૂઆત સુધીમાં સંપૂર્ણ રીતે તૈયાર થઈ જવાની અપેક્ષા છે. એવી શક્યતા છે કે, અહીં આગામી IPL ની મેચો રમાઈ શકે છે. આ સ્ટેડિયમ બનવાથી પૂર્વાંચલ વિસ્તારના યુવા ક્રિકેટરોને નવી તકો મળશે અને વારાણસીના પર્યટનને પણ વેગ મળશે. લોકો આ ડિઝાઇનને રમત અને ભક્તિનો એક સુંદર સમન્વય ગણાવી રહ્યા છે.




















