દિલ્હીના જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ દ્વારા કરાયેલા લાઠીચાર્જના વિરોધમાં વડોદરા શહેર કોંગ્રેસ આક્રમક મોડમાં જોવા મળી હતી. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ શહેરમાં વિરોધ પ્રદર્શન કરીને કેન્દ્ર સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. સાથે જ NEET પરીક્ષામાં થયેલી ગેરરીતિઓ અને કથિત કૌભાંડના મુદ્દે પણ કોંગ્રેસે સરકારને ઘેરી હતી.
કોંગ્રેસના કાર્યકરોએ શિક્ષણ ક્ષેત્રમાં ગેરરીતિ અને મિલીભગતના આક્ષેપો સાથે કેન્દ્રના શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ ઉઠાવી હતી. વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકરોના હાથમાં "શિક્ષણ બચાવો" સહિતના સૂત્રો લખેલા પોસ્ટરો અને પ્લેકાર્ડ્સ જોવા મળ્યા હતા. કાર્યકરોએ સરકાર વિરોધી નારા લગાવી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો: "તું તો હીરો છે યાર બધાનો, તારા લીધે તો ચૈતર જેલમાં ગયો..." : સ્ટેજ પરથી કોની સામે ઇશારો કરીને મનસુખ વસાવાએ આવું કહ્યું?
રસ્તા પર ઉતર્યા કોંગ્રેસી કાર્યકરો
વડોદરામાં યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. જંતર-મંતર ખાતે થયેલી પોલીસ કાર્યવાહીને લોકશાહી અવાજને દબાવવાનો પ્રયાસ ગણાવી કોંગ્રેસે તેનો વિરોધ કર્યો હતો. સાથે જ NEET પરીક્ષાના મુદ્દે પારદર્શક તપાસ અને જવાબદારી નક્કી કરવાની માંગ પણ કરવામાં આવી હતી.
પ્રદર્શન દરમિયાન કાર્યકરો બેરિકેડ્સ સુધી પહોંચતાં પોલીસ અને કાર્યકરો વચ્ચે ધક્કામુક્કીની સ્થિતિ સર્જાઈ હતી. પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: વડોદરામાં બીડી સળગાવતા જ શૌચાલયમાં થયો હતો ધડાકો : ગંભીર રીતે દાઝેલો યુવક હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ખાઈ રહ્યો છે જોલા
રાવપુરા પોલીસે કરી અટકાયત
વિરોધ પ્રદર્શન ઉગ્ર બનતાં રાવપુરા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે સ્થળ પરથી વિરોધ કરી રહેલા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી. ત્યારબાદ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી હતી.
કોંગ્રેસે જણાવ્યું છે કે શિક્ષણ અને વિદ્યાર્થીઓના હિતના મુદ્દે તેમનો વિરોધ આગળ પણ ચાલુ રહેશે. બીજી તરફ, આ મામલે સરકાર તરફથી તાત્કાલિક કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.





