Usman Khawaja Announces Retirement From International Cricket: ઓસ્ટ્રેલિયાના અનુભવી ઓપનિંગ બેટ્સમેન ઉસ્માન ખ્વાજાએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 ટેસ્ટ મેચની એશિઝ સીરિઝ ચાલી રહી છે, જેની અંતિમ મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. આ મેચ ઉસ્માન ખ્વાજાના કારકિર્દીની છેલ્લી ટેસ્ટ હશે. નોંધનીય છે કે, ઉસ્માન ખ્વાજાએ પણ આ મેદાન પર ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. 2025-26 એશિઝ સીરિઝની આ અંતિમ મેચ 4 જાન્યુઆરી, 2026 ના રોજ શરૂ થશે.
ઉસ્માન ખ્વાજાનું ઇન્ટરનેશનલ કરિયર કેવું રહ્યું?
ઉસ્માન ખ્વાજાએ 2010-11 ની એશિઝ સીરિઝમાં ઓસ્ટ્રેલિયા માટે ડેબ્યૂ કર્યું હતું. આ સીરિઝ દરમિયાન ઓસ્ટ્રેલિયન કેપ્ટન રિકી પોન્ટિંગને થયેલી ઈજાને કારણે તેમને ટેસ્ટ ડેબ્યૂ કરવાની તક મળી. પાકિસ્તાનમાં જન્મેલા ખ્વાજા ઓસ્ટ્રેલિયા માટે રમનાર પ્રથમ ખેલાડી છે. તેઓ ચાર વર્ષની ઉંમરે પોતાના પરિવાર સાથે ઓસ્ટ્રેલિયાના ન્યુ સાઉથ વેલ્સ ગયા. સિડની ટેસ્ટ તેમની કારકિર્દીની 88 મી મેચ હશે. 87 ટેસ્ટમાં તેમણે 43.39 ની એવરેજથી કુલ 6,206 રન બનાવ્યા છે, જેમાં 16 સેન્ચુરી અને 28 હાફ-સેન્ચુરીનો સમાવેશ થાય છે. ઉસ્માન ખ્વાજાનો સર્વોચ્ચ સ્કોર 232 હતો. તેમણે 40 વનડેમાં કુલ 1,554 રન અને નવ T20 ઇન્ટરનેશનલ મેચમાં 241 રન બનાવ્યા છે.
ઉસ્માન ખ્વાજાની ઇમોશનલ સ્પીચ
નિવૃત્તિની જાહેરાત કરતી વખતે ઉસ્માન ખ્વાજાએ ઇમોશનલ સ્પીચમાં કહ્યું, "હું સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG) થી થોડે દૂર કૂક રોડ પર રહેતો હતો. હું નાનો હતો ત્યારે માઈકલ સ્લેટરને તેની લાલ ફેરારી ચલાવતા જોયો હતો તે હું ક્યારેય નહીં ભૂલી શકું. મને મારા નસીબ પર વિશ્વાસ ન હતો; મેં હમણાં જ એક ટેસ્ટ ક્રિકેટર જોયો હતો. એક છોકરા તરીકે, જેના માતાપિતા ગુજરાન ચલાવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા અને બે બેડરૂમના નાના એપાર્ટમેન્ટમાં તેમના બાળકોને ખવડાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, મેં વિચાર્યું હતું કે એક દિવસ હું પણ ટેસ્ટ ક્રિકેટર બનીશ અને એક દિવસ હું જે ઇચ્છું તે ચલાવીશ." ઉસ્માન ખ્વાજાએ વધુમાં કહ્યું, "હું આજે અહીં જાહેરાત કરવા આવ્યો છું કે, SCG ટેસ્ટ મેચ પછી, હું તમામ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈશ. હું પાકિસ્તાનનો એક ગર્વિત મુસ્લિમ, છોકરો છું જેને કહેવામાં આવ્યું હતું કે, તે ક્યારેય ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ માટે નહીં રમે. હવે મને જુઓ. મને આશા છે કે મેં પાકિસ્તાનમાં બધું છોડીને અને ઓસ્ટ્રેલિયા આવીને તમારા (માતાપિતાના) બલિદાનનું ઋણ ચૂકવી દીધું છે જેથી અમે અમારા બાળકોને વધુ સારું જીવન આપી શકીએ."





















