મધ્ય પૂર્વમાં સતત વણસતી જતી પરિસ્થિતિ અને ઈરાન સાથેના સીધા સંઘર્ષના કારણે અમેરિકાની સૈન્ય શક્તિ પર દબાણ વધ્યું છે. યુક્રેનને સતત પૂરા પાડવામાં આવતા શસ્ત્રો અને ઈરાન સામેના મોરચે વપરાતી મિસાઈલોના કારણે અમેરિકા પાસે હથિયારોનો જથ્થો ઓછો થઈ રહ્યો હોવાની આશંકાઓ સેવાઈ રહી છે. આ ગંભીર સ્થિતિને પહોંચી વળવા માટે અમેરિકી સંરક્ષણ મંત્રાલયે 04 મોટી કંપનીઓ સાથે 03 મહત્વપૂર્ણ કરાર કર્યા છે, જેનો મુખ્ય હેતુ શસ્ત્રોના નિર્માણમાં ઝડપ લાવવાનો અને પ્રક્રિયાને વેગ આપવાનો છે.
THAAD મિસાઈલ ડિફેન્સ સિસ્ટમનું ઉત્પાદન હવે ચારગણું થશે
નવા કરાર અંતર્ગત ખાસ કરીને THAAD મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. BAE Systems અને Lockheed Martin જેવી દિગ્ગજ કંપનીઓ THAAD ઈન્ટરસેપ્ટર માટેના સિક્કરનું ઉત્પાદન હવે 04 ગણું વધારશે. આ ઉપરાંત Honeywell Aerospace પણ મહત્વના સ્પેરપાર્ટ્સના ઉત્પાદનમાં વધારો કરશે. ઉલ્લેખનીય છે કે THAAD સિસ્ટમ બેલિસ્ટિક મિસાઈલોને તેમના અંતિમ તબક્કામાં હવામાં જ નષ્ટ કરવા માટે તૈયાર કરવામાં આવી છે, જેનો ઉપયોગ અમેરિકી સેના સહિત અન્ય મિત્ર દેશો પણ કરે છે. Lockheed Martin દ્વારા આ મિસાઈલોનું વાર્ષિક ઉત્પાદન 96 થી વધારીને 400 સુધી લઈ જવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
ડોનાલ્ડ ટ્રમ્પના શાંતિના દાવા અને ઈરાનનો ઈનકાર
એક તરફ યુદ્ધની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે બીજી તરફ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અચાનક શાંતિ મંત્રણાની વાતો કરી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી ટ્રમ્પ વારંવાર શાંતિ સમજૂતી અંગે નિવેદનો આપી રહ્યા છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાન પરમાણુ હથિયારો ન રાખવા માટે સંમત થયું છે અને Strait of Hormuz બાબતે પણ મહત્વના સંકેતો મળ્યા છે. જોકે ઈરાને ટ્રમ્પના આ તમામ દાવાઓને સદંતર ફગાવી દીધા છે અને સ્પષ્ટ કર્યું છે કે હાલમાં શાંતિ વાટાઘાટો માટે કોઈ પણ પ્રકારની પહેલ કરવામાં આવી નથી.
ઈરાની નેતૃત્વમાં પરિવર્તનનો ટ્રમ્પનો સંકેત
ડોનાલ્ડ ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંઘર્ષમાં પોતાની જીતનો દાવો કરતા જણાવ્યું હતું કે ઈરાનના વર્તમાન શાસનમાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. તેમણે આ સ્થિતિને 'સત્તા પરિવર્તન' તરીકે ઓળખાવી છે. ટ્રમ્પના મતે અત્યારે સત્તામાં રહેલા લોકો અગાઉના શાસકો કરતા અલગ રીતે વર્તી રહ્યા છે, જેમણે અગાઉની તમામ સમસ્યાઓ ઊભી કરી હતી. જોકે આ નિવેદનો વચ્ચે મિસાઈલ ઉત્પાદન વધારવાનો આદેશ સ્પષ્ટ કરે છે કે અમેરિકા કોઈપણ આકસ્મિક પરિસ્થિતિ માટે પોતાની સૈન્ય સજ્જતા ઘટાડવા માંગતું નથી.





