Urvashi Dholakia: ટીવીની જાણીતી અભિનેત્રી ઉર્વશી ધોળકિયા હાલમાં 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના પ્રોડ્યુસર અસિત કુમાર મોદીથી અત્યંત નારાજ છે. અસિત મોદીના ઘર પર ચાલી રહેલા કન્સ્ટ્રક્શનના કામને કારણે ઉર્વશી ભારે પરેશાનીનો સામનો કરી રહી છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર પોતાની નારાજગી વ્યક્ત કરતા કન્સ્ટ્રક્શનની રીત સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે.
અસિત મોદીના કારણે પાડોશીઓ પરેશાન!
અસિત કુમાર મોદી જુહુ સ્થિત પોતાની પ્રોપર્ટીમાં છેલ્લા કેટલાક દિવસોથી બાંધકામ કરાવી રહ્યા છે. નવાઈની વાત એ છે કે આ કામ અડધી રાત્રે પણ ચાલુ રહે છે, જેના કારણે આસપાસના રહેવાસીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ઉર્વશીએ આ ઘટનાને 'અડધી રાતનો આતંક' ગણાવ્યો છે. તેણે મુંબઈ પોલીસ અને સ્થાનિક તંત્રની નિષ્ક્રિયતા સામે પણ આક્રોશ ઠાલવ્યો છે.
ઉર્વશીનો 'ઓપન લેટર' અને ગંભીર આક્ષેપો
ઉર્વશીએ એક ખુલ્લો પત્ર લખીને પોતાની વ્યથા ઠાલવી છે. તેણે લખ્યું હું અમારા વિસ્તારમાં મોડી રાત સુધી ચાલતી કન્સ્ટ્રક્શન પ્રવૃત્તિઓ અંગે ચિંતા વ્યક્ત કરવા માટે આ પત્ર લખી રહી છું. મશીનો, ડ્રિલિંગ અને સામાનની અવરજવરના અવાજને કારણે લોકોનું ઊંઘવું હરામ થઈ ગયું છે. આનાથી સ્વાસ્થ્ય પર અસર પડી રહી છે અને રોજિંદી જિંદગી ખોરવાઈ ગઈ છે. આ પ્રોપર્ટી અત્યારે શ્રી અસિત કુમાર મોદી અને તેમના પરિવારની છે."
પોલીસની બેદરકારી સામે સવાલ
પોતાની પોસ્ટમાં ઉર્વશીએ પોલીસના વલણ સામે પણ નારાજગી વ્યક્ત કરી છે. તેણે જણાવ્યું કે તેણે સવારે 4:23 થી 4:55 દરમિયાન પોલીસ ઈમરજન્સી નંબર (100) પર 3 વખત કોલ કર્યા હતા. તે સવારે 5:08 વાગ્યા સુધી નીચે રસ્તા પર પોલીસની રાહ જોતી રહી, પણ કોઈ આવ્યું નહીં. ઉર્વશીએ સવાલ ઉઠાવ્યો કે જો કોઈ ગંભીર પરિસ્થિતિ હોત, તો આ દોષપૂર્ણ સિસ્ટમ વચ્ચે નાગરિકોનું શું થાત?
"જીવન અસહ્ય બની ગયું છે"
થોડા કલાકો બાદ અન્ય એક પોસ્ટમાં ઉર્વશીએ અસિત મોદી અને તેમના ભાઈ પર પ્રહાર કરતા કહ્યું કે, આ બાંધકામે તેમની જિંદગી અસહ્ય બનાવી દીધી છે. ઉર્વશીનો દાવો છે કે પ્રોડ્યુસરના ભાઈએ તો ત્યાં સુધી કહી દીધું કે આ કામ અટકવાનું નથી. એટલું જ નહીં, બાંધકામ માટે રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો હોવાનો દાવો અભિનેત્રીએ કર્યો છે. આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર લોકો અસિત મોદીને ટ્રોલ કરી રહ્યા છે અને તેમને 'સિવિક સેન્સ' રાખવાની સલાહ આપી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે અસિત મોદી આ વિવાદ પર શું સ્પષ્ટતા આપે છે.





