નવી દિલ્હી: સંસદ શરૂ થતા જ ભારે હોબાળો જોવા મળ્યો. વિપક્ષના સભ્યોએ એકજૂથ થઈને પ્રધાનમંત્રી મોદીની વિરુદ્ધ નારેબાજી કરી વિરોધ પ્રદર્શન કર્યું. લોકસભાના સ્પીકર ઓમ બિરલાની સામે પણ આજે અવિશ્વાસના પ્રસ્તાવ પર ચર્ચાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સંસદના બજેટ સત્રના બીજા તબક્કાના બીજા દિવસે લોકસભામાં ભારે હોબાળો જોવા મળ્યો. સત્ર શરૂ થયા બાદ માત્ર લગભગ 35 મિનિટ સુધી જ કાર્યવાહી ચાલી શકી. વિપક્ષી સાંસદોએ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ, તેની ભારત પર પડતી અસર અને દેશના ઉર્જા ક્ષેત્રની સ્થિતિ પર ચર્ચાની માંગણી કરી અને સતત નારા લગાવ્યા. હોબાળા વચ્ચે લોકસભાની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી માટે સ્થગિત કરવી પડી.
લોકસભામાં વિપક્ષી સાંસદોએ “દેશ કો બચાના હૈ, મોદી કો હટાના હૈ” અને “વોટ ચોર ગદ્દી છોડો” જેવા નારા લગાવ્યા. વિપક્ષે ચૂંટણી પંચ પર પણ વોટની દલાલી કરવાનો આરોપ લગાવ્યો. સતત વિરોધ વચ્ચે પણ કેન્દ્રીય કૃષિ મંત્રી Shivraj Singh Chouhanએ ખેડૂતો અને કૃષિ સંબંધિત પ્રશ્નોના જવાબ આપ્યા.
તેમણે પોતાના ભાષણમાં જણાવ્યું કે ભારતે ચોખા અને ઘઉંના ઉત્પાદનમાં ચીનને પાછળ છોડી દીધું છે. સાથે જ તેમણે વિપક્ષના હોબાળાને લઈ કહ્યું કે દેશ વિપક્ષનો તમાશો જોઈ રહ્યો છે. તેમણે પશ્ચિમ બંગાળ સરકાર પર આરોપ લગાવ્યો કે રાજ્યમાં કેન્દ્ર સરકારની યોજનાઓ યોગ્ય રીતે અમલમાં મૂકવા દેવામાં આવતી નથી. આ દરમિયાન સ્પીકર Om Birlaએ સભામાં શાંતિ જાળવવા અપીલ કરી, પરંતુ વિપક્ષનો વિરોધ યથાવત રહ્યો. સતત હોબાળા વચ્ચે સ્પીકરે કાર્યવાહી સ્થગિત કરવાનો નિર્ણય લીધો.
સૂત્રો મુજબ આજે લોકસભામાં સ્પીકર ઓમ બિરલા સામે વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા “નો કોન્ફિડન્સ મોશન” પર ચર્ચા થવાની શક્યતા છે. બીજી તરફ વિપક્ષ મુખ્ય ચૂંટણી કમિશનર Gyanesh Kumar સામે પણ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહ્યો છે. આ પ્રસ્તાવનો ડ્રાફ્ટ તૈયાર થઈ ગયો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે અને આવતા અઠવાડિયે તેને રજૂ કરવામાં આવી શકે છે.
સત્રના પ્રથમ દિવસે પણ રાજ્યસભા અને લોકસભામાં વિપક્ષે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી પરિસ્થિતિ, ખાસ કરીને અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા તણાવ અંગે ચર્ચાની માંગણી કરી હતી. વિપક્ષનો દાવો છે કે આ સંકટથી વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવ વધી રહ્યા છે અને તેની સીધી અસર ભારતની અર્થવ્યવસ્થા તથા સામાન્ય લોકોના ઘરખર્ચ પર પડી રહી છે.
લોકસભામાં વિપક્ષના નેતા Rahul Gandhiએ સરકાર પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધથી ભારતની અર્થવ્યવસ્થાને ભારે નુકસાન થઈ રહ્યું છે, પરંતુ સરકાર આ મુદ્દે ચર્ચા કરવા તૈયાર નથી. તેમણે દાવો કર્યો કે શેરબજારમાં ઘટાડો, LPGના વધતા ભાવ અને ક્રૂડ ઓઇલના ઐતિહાસિક સ્તરે પહોંચતા ભાવનો ભાર સીધો સામાન્ય લોકો અને નાના-મધ્યમ ઉદ્યોગો પર પડી રહ્યો છે. સરકાર તરફથી સંસદીય કાર્ય મંત્રી Kiren Rijijuએ જણાવ્યું કે સ્પીકર સામેના મોશન પર ચર્ચા કરવા સરકાર તૈયાર છે અને વિપક્ષે સંસદીય પ્રક્રિયા મુજબ ચર્ચા કરવી જોઈએ.



















