લંડનમાં ખાલિસ્તાન સમર્થકોએ વિદેશ મંત્રી એસ. જયશંકરની કાર સામે વિરોધ પ્રદર્શન કર્યું જે પછી તેમની સુરક્ષા અંગે સવાલ ઉભા થયા. વિદેશ મંત્રી એસ. જયશંકરની યુકેની મુલાકાત દરમિયાન ચેથમ હાઉસની બહાર બનેલી ઘટનાની સખત નિંદા કરીએ છીએ તેમ યુકેના વિદેશ મંત્રાલયે જણાવ્યું. યુકે શાંતિપૂર્ણ વિરોધના અધિકારનું સમર્થન કરે છે, પરંતુ જાહેર કાર્યક્રમોમાં ડરાવવા, ધમકાવવા અથવા વિક્ષેપિત કરવાનો કોઈપણ પ્રયાસ સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે.
વિદેશ મંત્રી એસ. જયશંકરની સુરક્ષામાં ચૂક
લંડનમાં ખાલિસ્તાન તરફી નારા લગાવતા પ્રદર્શનકારીઓના જૂથનો ભાગ રહેલા એક વ્યક્તિએ સુરક્ષાને તોડીને એસ. જયશંકરની કાર રોકવાનો પ્રયાસ કર્યો જ્યારે તેઓ થિંક ટેન્ક ચેથમ હાઉસના મુખ્યાલયમાંથી બહાર નીકળી રહ્યા હતા. ભારતે અલગાવવાદીઓ અને ઉગ્રવાદીઓના આ નાના જૂથની ઉશ્કેરણીજનક પ્રવૃત્તિઓની નિંદા કરી હતી. ભારતે વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે સંકળાયેલી સુરક્ષામાં ચૂકની નિંદા કરી અને બ્રિટિશ સરકારને તેની રાજદ્વારી જવાબદારીઓનું પાલન કરવા હાકલ કરી.
સલામતી સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ-યુકે
યુકેના વિદેશ કાર્યાલયે કહ્યું, "મેટ્રોપોલિટન પોલીસે પરિસ્થિતિને સંભાળવા માટે ઝડપથી કાર્યવાહી કરી અને અમે અમારી આંતરરાષ્ટ્રીય જવાબદારીઓને અનુરૂપ અમારા તમામ રાજદ્વારી મુલાકાતીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ. કોમ્યુનિટી ઓર્ગેનાઇઝેશન ઇનસાઇટ યુકેએ આ ઘટનાના ફૂટેજ સોશિયલ મીડિયા પર શેર કર્યા અને કહ્યું, "આ શરમજનક છે કે આ હુમલો એવા સમયે થયો છે જ્યારે ડૉ. એસ. જયશંકર યુકેની મુલાકાતે છે અને યુકેના વિદેશ સચિવ ડેવિડ લેમી સાથે સફળ બેઠક કરી હતી જ્યાં તેઓએ દ્વિપક્ષીય સંબંધો અંગે ચર્ચા કરી હતી.
ભારતે બ્રિટનને પોતાની જવાબદારી યાદ અપાવી
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, "અમે વિદેશ મંત્રીની યુકેની મુલાકાત દરમિયાન સુરક્ષામાં ખામીના ફૂટેજ જોયા છે. અમે અલગાવવાદીઓ અને ઉગ્રવાદીઓના આ નાના જૂથની ઉશ્કેરણીજનક પ્રવૃત્તિઓની નિંદા કરીએ છીએ. અમે અપેક્ષા રાખીએ છીએ કે યજમાન સરકાર આવી બાબતોમાં તેની રાજદ્વારી જવાબદારીઓનું સંપૂર્ણ પાલન કરશે.





