Rajkot Crime News : રાજકોટમાં જેલ વિભાગના વડા કે એલ રાવના હસ્તે મહત્વપૂર્ણ બે કચેરીઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત સૌરાષ્ટ્ર–કચ્છ માટેની જેલ રેન્જ ડી.આઈ.જી. કચેરી તેમજ એન્ટી નાર્કોટિક્સ ઝોનલ કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ બંને કચેરીઓ રાજકોટ રૂરલ સાયબર પોલીસ મથક ખાતે શરૂ કરવામાં આવી છે, જેનાથી જેલ વ્યવસ્થાપન અને નશા વિરોધી કામગીરીને વધુ મજબૂતી મળશે.
65 જેલોનું સંચાલન ત્રણ ઝોન મારફતે થશે
આ પ્રસંગે માહિતી આપવામાં આવી હતી કે રાજ્યમાં કુલ 65 જેલો કાર્યરત છે, જેનું સંચાલન હવે ત્રણ ઝોન મારફતે કરવામાં આવશે. રાજકોટ, બરોડા અને અમદાવાદ ખાતે ડી.આઈ.જી. કક્ષાના અધિકારીઓ દ્વારા આ ઝોનનું સંચાલન કરવામાં આવશે, જેથી વહીવટ વધુ સુચારુ અને અસરકારક બની શકે. સાથે સાથે રાજ્ય સરકાર નશાના દૂષણને ઘટાડવા માટે સંપૂર્ણ રીતે કટિબદ્ધ હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું.
એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ
અગાઉ CID ક્રાઇમ અંતર્ગત નાર્કોટિક્સ સેલ કાર્યરત હતો, પરંતુ હવે તેમાં વિસ્તારો કરી એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. આ ટાસ્ક ફોર્સને પાંચ ઝોનમાં વિભાજિત કરવામાં આવી છે, જેમાં રાજકોટ, અમદાવાદ, સુરત, બોર્ડર રેન્જ અને બોર્ડર ઝોનનો સમાવેશ થાય છે. આ નવી વ્યવસ્થાથી નશાના દૂષણ સામે વધુ કડક અને સુચારુ રીતે કામગીરી થશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે.






