ગુજરાતમાં કોંગ્રેસ પ્રદેશમાં મોટા પાયે ફેરફાર થયા છે. પ્રેદેશ પ્રમુખથી લઈ વિધાનસભા નેતા ઉપ નેતા, દંડક સહિતના હોદ્દાઓ મોટામાપે ફેરફાર થયો છે. જો કે, થોડા દિવસ અગાઉ પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડાએ હોદ્દો સંભાળી લીધો છે, ત્યારે હવે તુષાર ચૌધરીએ વિધાનસભાના કોંગ્રેસના નેતા તરીકે કાર્યભાર સંભાળ્યો છે.
''આજે વિધિવત રીતે નેતા પદનો કાર્યભાર સંભાળ્યો''
તુષાર ચૌધરીએ કહ્યું કે, ''ગુજરાત વિધાનસભાના કોંગ્રેસ પક્ષના નેતા તરીકે ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટિ દ્વારા મારી નિમણૂક કરવામાં આવી છે. ત્યારે આજે વિધિવત રીતે નેતા પદનો કાર્યભાર સંભાળ્યો છે તેમજ ઉપ નેતા પદ પર શૈલેષ પરમાર અને અમારા સાથી ધારાસભ્યો અને અમારા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની હાજરીમાં આજે અમે આ કાર્યભાર સંભાળી રહ્યાં છીએ''.
''39 પૂલ હજુ પડુંપડું છે''
વધુમાં તેમણે કહ્યું કે, ''આવનારા દિવસોમાં વિધાનસભાનું સત્ર આવી રહ્યું છે ત્યારે સરકારની જે નિષ્ફળતાઓ છે જે તમે જાણો જ છો કે, એક પૂલ તુટ્યો છે પરંતુ 39 પૂલ હજુ પડુંપડું થઈ રહ્યાં છે. 97 પૂલ બંધ કરી દેવામાં આવ્યા છે. ત્યારે આ સરકાર માનવ બલીનો ભોગ લીધા સિવાય જાગતી નથી. જે પછી હરણી બોટ કાંડ હોય કે, તક્ષશીલા હોય કે, મોરબીનો ઝૂલતો પૂલ હોય કે પછી રાજકોટનો ગેમઝોન હોય. પરંતુ જ્યાં સુધી ગુજરાતના માનવોની બલીના ચઢે ત્યાં સુધી આ સરકાર કોઈ પગલા લીધી નથી, એવી બહેરી અને મૂંગી સરકાર કામ કરી રહી છે''.
''સરકારની સામે બાયો ચડાવીશું''
તુષાર ચૌધરીએ કહ્યું કે, ''એમને સત્તાનો નશો છે એમનો સંખ્યાબળ એટલુ મોટું છે કે, એ માને છે કે, અમે આજીવન અહીંયા જ રહેવાના છીએ, અમને કોઈ હલાવી શકે તેમ નથી, હટાવી શકે તેમ નથી તેમજ હરાવી શકે તેમ નથી, ત્યારે તેઓ પ્રજાને પણ ભૂલી ગયા ત્યારે અમે વિરોધ પક્ષ તરીકે વિધાનસભામાં પણ સરકારની સામે બાયો ચડાવીશું, એમની નિષ્ફળતાને ઉજાગર કરીશું અને પ્રજાને ન્યાય અપાવવાનો પ્રયત્ન રહેશે''.




















