Black Day: 14 ફેબ્રુઆરી, 2026 – આજે પુલવામા આતંકવાદી હુમલાને સાત વર્ષ પૂર્ણ થયા છે. 14 ફેબ્રુઆરી, 2019ના રોજ જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં લેથપોરા વિસ્તારમાં જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર CRPFના કાફલા પર ભયાનક આત્મઘાતી હુમલો થયો હતો. પાકિસ્તાન આધારિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના આત્મઘાતી હુમલાખોર આદિલ અહેમદ ડારે વિસ્ફોટકોથી ભરેલી SUVને CRPFની બસમાં અથડાવી દીધી હતી, જેમાં 40 CRPF જવાનો શહીદ થયા અને 35થી વધુ ઘાયલ થયા હતા.
શહીદોને શ્રદ્ધાંજલિ આપી
આ દુ:ખદ ઘટનાને યાદ કરીને દેશ આજે "કાળો દિવસ" તરીકે ઉજવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક નેતાઓએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, "આ બહાદુર શહીદોનું બલિદાન, તેમની નિષ્ઠા અને દેશભક્તિ હંમેશા અમારા હૃદયમાં અંકિત રહેશે."
ખીણમાં કડક સુરક્ષા વ્યવસ્થા અને હાઈ એલર્ટ જાહેર
પુલવામા હુમલાની વર્ષગાંઠને ધ્યાનમાં રાખીને જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોએ હાઈ એલર્ટ જાહેર કર્યું છે. શ્રીનગરના લાલ ચોક સહિત અનેક વિસ્તારોમાં સર્ચ ઓપરેશન અને આશ્ચર્યજનક તપાસ કરવામાં આવી રહી છે. ગુપ્તચર એજન્સીઓએ સંભવિત આતંકી ધમકીઓની ચેતવણી આપી છે, ખાસ કરીને 11થી 14 ફેબ્રુઆરીના સંવેદનશીલ દિવસોને ધ્યાનમાં રાખીને. CRPF કેમ્પમાં શહીદોને શ્રદ્ધાંજલિ સભાઓ યોજાઈ રહી છે.
હુમલા પછીના પગલાં અને બાલાકોટ એરસ્ટ્રાઇક
આ હુમલાએ દેશમાં આતંકવાદ વિરુદ્ધની લડાઈને નવી તાકાત આપી. હુમલાના જવાબમાં 26 ફેબ્રુઆરી, 2019ના રોજ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં આતંકી તાલીમ કેન્દ્રો પર સફળ એરસ્ટ્રાઇક કરી. સુરક્ષા દળોમાં આધુનિક હથિયારો, બુલેટપ્રૂફ જેકેટ અને અન્ય સાધનોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેથી આવા હુમલાઓને રોકી શકાય.




















