T20 World Cup : સમગ્ર વિશ્વમાં અત્યારે ભારતીય ક્રિકેટ ટીમનો ડંકો વાગી રહ્યો છે. ICC T20 વર્લ્ડ કપ 2026 ની ફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામે ઐતિહાસિક વિજય મેળવ્યા બાદ ટીમ ઈન્ડિયા અત્યારે સાતમા આસમાને છે. પરંતુ આ ભવ્ય જીત બાદ ટીમનો એક એવો વીડિયો સામે આવ્યો છે, જેને કરોડો ભારતીયોના દિલ જીતી લીધા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ, હેડ કોચ ગૌતમ ગંભીર અને ICC ચેરમેન જય શાહ મધ્યરાત્રિએ હનુમાન દાદાના આશીર્વાદ લેતા જોવા મળી રહ્યા છે.
અડધી રાત્રે ભક્તિનો માહોલ
T20 વર્લ્ડ કપની ચમકતી ટ્રોફી જીત્યા બાદ, ટીમ ઈન્ડિયાના સભ્યો જશ્ન મનાવવાને બદલે આભાર વ્યક્ત કરવા મંદિરે પહોંચ્યા હતા. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે આવેલા પ્રસિદ્ધ હનુમાન મંદિરે અડધી રાત્રે સૂર્યકુમાર યાદવ, ગૌતમ ગંભીર અને જય શાહ પહોંચ્યા હતા. આ દિગ્ગજોએ ટ્રોફી હનુમાન દાદાના ચરણોમાં ધરીને આશીર્વાદ લીધા હતા. આ ક્ષણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ટ્રોફી સાથે દાદાના દર્શન
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, કેપ્ટન સૂર્યકુમાર યાદવના હાથમાં વર્લ્ડ કપની ટ્રોફી છે અને તેઓ અત્યંત સાદગીથી હનુમાન દાદાની પૂજા કરી રહ્યા છે. દેશ જ્યારે જીતની ખુશીમાં ફટાકડા ફોડી રહ્યો હતો, ત્યારે ટીમના આ મહાનુભાવોએ પોતાની સફળતાનો શ્રેય ઈશ્વરને આપ્યો હતો. ચાહકો ટીમ ઇન્ડિયાની આ શ્રદ્ધા અને સાદગીના ભારોભાર વખાણ કરી રહ્યા છે.
ભારતે રચ્યો નવો ઈતિહાસ
ભારતે ન્યુઝીલેન્ડને 96 રનથી પરાજય આપીને સતત બીજી વખત અને કુલ ત્રીજી વખત T20 વર્લ્ડ કપનું ટાઇટલ જીતી લીધું છે. વર્ષ 2024 માં સાઉથ આફ્રિકાને હરાવ્યા બાદ હવે 2026 માં ન્યુઝીલેન્ડને હરાવી ભારત વિશ્વની પ્રથમ એવી ટીમ બની ગઈ છે જેની પાસે ત્રણ T20 વર્લ્ડ કપ ટ્રોફી હોય. આ જીત સાથે ભારતીય ક્રિકેટનો સુવર્ણ યુગ શરૂ થયો હોય તેમ જણાય છે.
ફાઇનલ મેચનો રોમાંચ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આ યાદગાર ફાઇનલમાં ન્યુઝીલેન્ડે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ભારતીય બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કરતાં 20 ઓવરમાં 5 વિકેટે 255 રનનો પહાડ જેવો સ્કોર ખડક્યો હતો. 256 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ન્યુઝીલેન્ડની ટીમ ભારતીય બોલરોની ધારદાર બોલિંગ સામે ટકી શકી ન હતી અને માત્ર 159 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

















