હવે સ્માર્ટફોન દરેકની લાઈફનો જરૂરી હિસ્સો બની ગયો છે. પરંતુ તેના ખતરા છે. અનેકવાર સ્માર્ટફોનમાં બ્લાસ્ટના કિસ્સા સામે આવ્યા છે. છેલ્લા કેટલાક સમયથી આવી ઘટનાઓમાં વધારો થયો છે. મોટાભાગે આવા કિસ્સાઓ આપણી ભૂલના કારણે જ થાય છે. એટલા માટે તેના કારણો અને તેનાથી બચવાના ઉપાયો જાણવા જરૂરી છે.
કેમ થઈ શકે ફોનમાં બ્લાસ્ટ?
સ્માર્ટફોનની બેટરીમાં લિથિયમ આયનનો ઉપયોગ થાય છે, જે વધારે ગરમી સહન નથી કરી શકતું. જો ફોનનો લાંબો સમય વપરાશ કરવામાં આવે અને તેના પર સતત ભારે ગેમ્સ રમવામાં આવે તો તમારી બેટરી વધારે ગરમ થઈ શકે છે. જે બેટરી ફાટવાનું મુખ્ય કારણ છે.જો ફોન પડી જાય અથવા બેટરીમાં ડેન્ટ થઈ જાય, તો તેનો ઉપયોગ કરવો જોખમી બની શકે છે. બેટરીને આંતરિક નુકસાન થવાથી તેની અંદર રાસાયણિક પ્રતિક્રિયા થઈ શકે છે, જેના કારણે વિસ્ફોટ થઈ શકે છે.
જો તમને ફોન સતત ચાર્જિંગમાં રાખવાની આદત છે. તો તે ખરાબ આદત છે. અથવા તો તમે બેટરીને સાવ પુરી થવા દો છો અને ત્યારે ચાર્જ કરો છો, તો તે પણ યોગ્ય નથી. આનાથી બેટરીની કાર્યક્ષમતા પ્રભાવિત થાય છે અને તેને ફાટી શકે છે. આ સાથે જો તમે ફોનને વધારે પડતી ગરમી કે ઠંડીમાં રાખો છો તો, તેને નુકસાન થઈ શકે છે. આ સાથે જો તમને નકલી કે સસ્તા ચાર્જર કે બેટરીનો ઉપયોગ કરવાની આદત છે, તો તે ભારે પડી શકે છે.
કેવી રીતે બચવું?
-હંમેશા ઓરિજિનલ ચાર્જર અને બેટરીનો ઉપયોગ કરો.
-ફોનને લાંબા સમય સુધી ચાર્જિંગ પર ન રાખો.
-જો બેટરી ફૂલી ગયેલી દેખાય, તો તેને તાત્કાલિક સર્વિસ સેન્ટર પર લઈ જાઓ.
-ફોનને ગરમી કે ઠંડી જગ્યાઓથી દૂર રાખો.
-ભારે એપ્સનો વધુ પડતો ઉપયોગ ન કરો.





















